રાજકોટમાં 24 કલાકમાં મહિલા સહિત ત્રણે કર્યા આપઘાતના પ્રયાસ
ભાઈએ મકાન નામે ન કરી આપતા બહેને ઝેર પીધું, દેણું થતાં યુવકે ટ્રેન હેઠળ પડ્યું મૂક્યું અને પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ એસિડ ગટગટાવ્યું
રાજકોટમાં 24 કલાકમાં મહિલા સહિત ત્રણે આપઘાતના પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં માધાપરમાં ભાઈએ મકાન નામે ન કરી આપતા બહેને ઝેરી દવા ગટગટાવી હતી. જ્યારે દેણું થઈ જતાં ભગવતીપરામાં યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અને ત્રીજા બનાવમાં ઘંટેશ્વરમાં પત્નીએ પતિને દારૂ પીવાની ના પડતાં પતિએ એસિડ ગટગટાવી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રથમ બનાવની મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા અને હાલ માધાપર તેમના પિતા ઘરે આવેલા જલ્પાબેન અભયભાઈ સંખેસરિયા નામના 30 વર્ષીય મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા તેણીએ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી.અને આ મામલે પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,થોડા સમય પૂર્વે તેમને મકાન લેવું હોવાથી તેમના ભાઈના નામે લોન કરવી મકાન લીધું હતું બાદ લોન પૂરી થઈ જતાં ભાઈએ મકાન તેમના નામે કરી આપશે તેવું કહ્યું હતું. પરંતુ મકાન નામે ન કરી આપતા તેણીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
બીજા બનાવમાં આજીડેમ પાસે દેવકીનંદન સોસાયટીમાં રહેતા રાજેશભાઇ વીરેન્દ્રભાઈ ચૌહાણ નામના 41 વર્ષીય યુવકે ભગવતીપરા પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેના પગ કપાઈ ગયા હતા અને તેનો જીવ બચી જતાં આસપાસના લોકોએ તેને 108 મારફત સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો અને આ મામલે પોલીસ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,રૂ.3 લાખનું તેના પર દેણું થઈ જતાં તેને કંટાળી આ પગલું ભર્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં ઘટેશ્વરમાં રહેતા અરવિંદ દસાડીયા નામના 30 વર્ષીય યુવકે એસિડ ગટગટાવી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે તેને ગાંધીગ્રામ પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોતાને દારૂની ટેવ હોવાથી પત્નીએ દારૂ પીવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તે વાતનું માઠું લગાવી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.