કોના બાપની દિવાળી! રામજીના પૈસા ચોરી ગર્લફ્રેન્ડને iPhone ભેટ આપ્યો
પરિવાર અને મિત્રો પાછળ 19 લાખ ખર્ચ્યા
અયોધ્યાના રામ મંદિરના દાનપેટી કૌભાંડમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાંથી એક અવિનાશ શુક્લે પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્લે ચોરી કરેલી રકમમાંથી પરિવાર, મિત્રો અને પોતાની જરૂરિયાતો પાછળ આશરે 19 લાખ રૂપિયા ખર્ચ્યાની વાત સ્વીકારી છે. આ જ રકમમાંથી તેણે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘો iPhone ભેટમાં આપ્યો હતો અને તેના ખાતામાં અંદાજે 2.5 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ શુક્લે પોતાના ભાઈના લગ્નમાં અંદાજે 6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે બીજા એક ભાઈને 5થી 6 લાખ રૂપિયા આપ્યા હતા. દાનપેટીઓમાંથી ચોરાયેલી રકમનો ઉપયોગ પરિવાર અને નજીકના લોકોને ખુશ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું પણ તેણે કબૂલ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.
અગાઉ તપાસમાં બહાર આવેલા પોલીસ દસ્તાવેજો અનુસાર આઠ આરોપીઓમાં સૌથી વધુ અંદાજે 20 લાખ રૂપિયા અવિનાશ શુક્લે પોતાના કબજામાં રાખ્યા હતા. જો કે સમગ્ર દાનચોરીનો આંકડો તો કરોડો રૂપિયામાં હોવાની આશંકા છે.
હાલ પોલીસે આરોપીઓના બેન્ક ખાતાં, નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતવાર તપાસ શરૂ કરી છે. ચોરાયેલી રકમ ક્યાં-ક્યાં ખર્ચાઈ અને કોના સુધી પહોંચી તેનો સંપૂર્ણ મની ટ્રેલ શોધી આરોપીઓ સામે મજબૂત પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
