આજનું મહારાષ્ટ્ર બંધનું એલાન ગેરબંધારણીય : હાઇકોર્ટ
મહારાષ્ટ્રનાં બદલાપુરમાં બે સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મહાવિકાસ આઘાડીએ શનિવારે આપેલા મહારાષ્ટ્ર બંધના એલાનને મુંબઈ હાઇકોર્ટે ગેરબંધારણીય ગણાવ્યું છે અને આ એલાન બદલ વિપક્ષની ટીકા કરી છે.
બદલાપુરમાં બે સગીર બાળકી પર થયેલા અત્યાચારના વિરોધમાં મહા વિકાસ અઘાડી (એમવીએ)એ શનિવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી હતી. બંધના વિરોધમાં બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈ કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે જો કોઈ પણ રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી આપી નથી. જો કોઈ પ્રયાસ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના બંધ વિરુદ્ધની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીએ બંધ બોલાવ્યું છે. બંધથી સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ સહિત આમ જનતાને પરેશાની ભોગવવી પડી શકે છે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકારે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંધનું એલાન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોના ઈતિહાસ પર નજર નાખીએ તો આ પ્રકારના અને ખાસ કરીને મરાઠા અનામતના સમર્થનમાં ઘોષિત કરવામાં આવેલા બંધ હિંસક બન્યા છે જેને પગલે જાહેર સંપત્તિને નુકસાન થયું છે અને સામાન્ય માણસને અગવડ પડી છે. આ કારણોસર અરજદારોએ અદાલતને આ મામલે હસ્તક્ષેપ કરી બંધને ગેરકાયદે જાહેર કરવાની માંગણી કરી હતી.