વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા
યુથ કોંગ્રેસે ગંગા કિનારે રૂદ્રાભિષેક કરી ઉજવ્યો જન્મદિવસ
કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના 56મા જન્મદિવસની ઉજવણી દરમિયાન ઉત્તર પ્રદેશના વારાણસીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગંગા કિનારે પૂજા-અર્ચના કરીને રાહુલ ગાંધીને ભગવાન પરશુરામના સ્વરૂપમાં દર્શાવતું પોસ્ટર સ્થાપિત કરતાં વિવાદ થયો છે. પોસ્ટરમાં રાહુલ ગાંધીના એક હાથમાં પરશુ (ફરસી) અને બીજા હાથમાં ભારતીય બંધારણની નકલ દર્શાવવામાં આવી હતી.
કાર્યકરોએ પોસ્ટર પર દુધાભિષેક કરીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રૂદ્રાભિષેક કર્યો અને રાહુલ ગાંધીના લાંબા, સ્વસ્થ અને સફળ જીવન માટે પ્રાર્થના કરી. કાર્યક્રમ દરમિયાન 11 કિલોનો લાડુ કેક પણ કાપવામાં આવ્યો હતો.
વારાણસી યુથ કોંગ્રેસના પ્રમુખ વિકાસ સિંહે જણાવ્યું કે જેમ ભગવાન પરશુરામે દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો હતો, તેમ રાહુલ ગાંધી પણ અન્યાય અને દુષ્ટ શક્તિઓ સામે લડી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ પણ કાર્યક્રમનું સમર્થન કરતાં કહ્યું કે આ આયોજન કરનારા કાર્યકરો પોતે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને તેમણે પોતાની ધાર્મિક લાગણી તથા નેતા પ્રત્યેના સન્માનની અભિવ્યક્તિ કરી છે.
આ પણ વાંચો: MLC ચૂંટણીમાં વિપક્ષમાં ક્રોસ વોટિંગ, કોંગ્રેસનો 5 બેઠક પર અણધાર્યો વિજય
“હિન્દુ ધર્મનું અપમાન”: ભાજપ
વારાણસીમાં રાહુલ ગાંધીને ભગવાન પરશુરામના સ્વરૂપમાં દર્શાવતાં પોસ્ટર પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમની સરખામણી રાહુલ ગાંધી સાથે કરવી અસંભવ તથા અસમજણભરી બાબત છે. તેમણે કોંગ્રેસ પર સનાતન ધર્મ વિરોધી માનસિકતા ધરાવવાનો આક્ષેપ કર્યો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે વર્ષભર સનાતન ધર્મની ટીકા કરનારા કોંગ્રેસી હવે ભગવાન પરશુરામને યાદ કરવાનો દેખાવ કરી રહ્યા છે. તેમણે આ ઘટનાને હિંદુ ધર્મ અને ભગવાન પરશુરામનું અપમાન ગણાવ્યું.
