“જાઓ, માતાના પગે લાગો અને માફી માગો”: મિલકત વિવાદમાં પુત્રને સુપ્રીમ કોર્ટની ટકોર
માતા-પિતાની મિલકત પર માલિકીનો દાવો કરીને તેમને હેરાન કરનાર પુત્રને સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. કોર્ટે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે, “જાઓ, તમારી માતા પાસે પાછા જાઓ, તેમના પગે લાગો અને તેમના આશીર્વાદ મેળવો.” સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંપત્તિ માટે પોતાના માતા-પિતાને હેરાન કે છેતરતા સંતાનોને કાયદાનું રક્ષણ મળી શકે નહીં.
જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચ સમક્ષ દિલ્હી સ્થિત એક મકાનને લઈને ચાલી રહેલા વિવાદની સુનાવણી થઈ હતી. કેસ મુજબ, માતા-પિતાએ પોતાની મહેનતની કમાણીથી મકાન બનાવ્યું હતું અને પ્રેમ તથા લાગણીના કારણે પુત્ર અને પુત્રવધૂને પ્રથમ માળે ભાડા વિના રહેવાની મંજૂરી આપી હતી.
જોકે બાદમાં પુત્ર અને તેની પત્નીએ કથિત રીતે બનાવટી દસ્તાવેજોના આધારે મકાન પર માલિકીનો દાવો કર્યો હતો. નીચલી અદાલત તેમજ દિલ્હી હાઈકોર્ટે માતા-પિતાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખીને પુત્રની અરજી ફગાવી દીધી છે.
આ પણ વાંચો: આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીને ખરીદ્યું 20 ટન સોનું
કોર્ટે પુત્રને 60 દિવસની અંદર મકાન ખાલી કરવાનો તેમજ માતા-પિતાને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ શર્માએ હાજર વકીલો તરફ જોઈને કહ્યું હતું કે, “શું તમને આ યુવકનું વર્તન ખોટું લાગતું નથી? કોર્ટ ઇચ્છે છે કે તે પોતાની માતા પાસે જાય, તેમની લાગણી સમજે, તેમના પગે લાગે અને આશીર્વાદ મેળવે.”
સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ નોંધ્યું કે ભારતીય સમાજ તેમજ વિવિધ ધર્મોમાં માતાને અત્યંત ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. સંપત્તિના લોભમાં માતા-પિતાના અધિકારોનું હનન કરનારા સંતાનો પ્રત્યે કાયદો સહાનુભૂતિ દાખવી શકે નહીં, એમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.
