ભાગેડુ નીરવ મોદીને લંડનની હાઇકોર્ટનો આદેશ; બેન્કને લોન માટે પર્સનલ ગેરંટી આપી હતી
પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. આ દરમિયાન લંડનની એક કોર્ટે તેમના વિરુદ્ધ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે નીરવ મોદી બેંક ઓફ ઇન્ડિયાના લોન મામલે વ્યક્તિગત ગેરન્ટર હોવાથી બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ કેસ દુબઈ સ્થિત તેમની કંપનીને આપવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે. હવે નીરવે બેન્ક ઓફ ઈન્ડિયાને રૂપિયા 100 કરોડ ભરવા પડશે.
બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ 2012માં દુબઈની ‘ડાયમંડ FZE’ નામની કંપનીને લોન આપી હતી. આ કંપની નીરવ મોદીની માલિકીની હતી. ઓગસ્ટ 2013માં નીરવ મોદીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી હતી. પછી લોનની રકમ પરત ન થતા બેંકે નીરવ મોદી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
નીરવ મોદીએ લંડન સર્કિટ કોમર્શિયલ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની ગેરંટી કાનૂની રીતે લાગુ પડતી નથી અને બેંક તરફથી તેમને કોઈ યોગ્ય માંગપત્ર મળ્યું નહોતું. તેમણે એ પણ કહ્યું હતું કે લોન રદ કરવા માટે કોઈ મજબૂત કારણ નહોતું. પરંતુ કોર્ટે તેમની આ દલીલોને સ્વીકારી નહોતી.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ નિંભર સત્તાધીશોના પાપે ફરી દર્દીના સગાને ભર્યું બચકું ?
મંગળવારે જજ સાઇમન ટિંકલરે પોતાના ચુકાદામાં જણાવ્યું કે બેંક ઓફ ઇન્ડિયાનો દાવો સંપૂર્ણપણે યોગ્ય અને કાનૂની રીતે માન્ય છે. કોર્ટે કહ્યું કે નીરવ મોદી પોતાની વ્યક્તિગત ગેરંટીના આધારે 4.1 મિલિયન ડોલર (આશરે 39 કરોડ રૂપિયા)ની મૂળ બાકી રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ ઉપરાંત તેના પર લાગતું વ્યાજ પણ ચૂકવવું પડશે. કુલ મળીને આ રકમ લગભગ 10.7 મિલિયન ડોલર એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા થાય છે.
