નિજ્જરની હત્યામાં ભારતની કોઈ સંડોવણી નહોતી: કેનેડિયન પોલીસ
ભારત સામે આંગળી ચીંધી શકાય તેવો કોઈ પુરાવો નથી
લગભગ ત્રણ વર્ષ પહેલાં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીના કરેલા આક્ષેપને હવે કેનેડાની પોલીસ જ
ખોટા જાહેર કર્યા છે. કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ અત્યાર સુધીની તપાસમાં ભારત સરકાર અથવા તેના અધિકારીઓની સંડોવણી દર્શાવતો કોઈ પુરાવો ન મળ્યો હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ નિવેદનથી તે સમયના ટ્રુડો સરકારના દાવાઓને મોટો ઝટકો લાગ્યો છે અને ભારત-કેનેડા સંબંધોમાં સર્જાયેલી કડવાશ અંગેનું ચિત્ર પણ બદલાતું જોવા મળી રહ્યું છે.
RCMPના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે, પરંતુ અત્યાર સુધી એકત્ર થયેલા પુરાવા, ધરપકડો અને જપ્તીમાંથી ભારત સરકારના કોઈ અધિકારીની સંડોવણી સામે આવી નથી. સપ્ટેમ્બર 2023માં ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત સરકારના એજન્ટો સામે “વિશ્વસનીય આક્ષેપો” હોવાનો દાવો કર્યો હતો, જેને ભારતે શરૂઆતથી જ “નિરાધાર અને રાજકીય પ્રેરિત” ગણાવીને ફગાવી દીધા હતા. આ વિવાદ બાદ બંને દેશોએ એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા હતા અને દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર પડી હતી. હવે ખુદ કેનેડિયન પોલીસના નિવેદનથી જ તે દાવાઓ નબળા પડ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે
આ પણ વાંચો: કોંગી નેતા દિગ્વિજય સિહની રાજકારણથી સન્યાસની જાહેરાત
અમેરિકાએ નિજ્જરની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈને જવાબદાર ઠેરવ્યો
લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત અન્ય ગેંગસ્ટરો સામે અમેરિકાના ન્યાય વિભાગે આરોપપત્ર જાહેર કરી નિજ્જરની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી છે. અમેરિકાની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરી, ખંડણી, નિશાન બનાવી હત્યા અને ડ્રગ્સ તસ્કરી સામેની કાર્યવાહીનો ભાગ હોવાનું જણાવાયું છે. જોકે આ આરોપપત્રમાં ભારત સરકારની કોઈ ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.અમેરિકાએ આ અહેવાલ જાહેર કર્યા બાદ કેનેડાની પોલીસે ભારત અને ચીટ આપી હોવાનું માનવામાં આવે છે.
ભારત-કેનેડા સંબંધો પૂર્વવત થવા લાગ્યા હોવાના સંકેત
ટ્રુડોના આક્ષેપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના બગડેલા સબંધોની ગાડી હવે ફરી પાટા પર ચડી રહી છે. માર્ક કાર્નીના નેતૃત્વમાં કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી રાજદ્વારી સંબંધો સુધરતા જોવા મળી રહ્યા છે. ઉચ્ચસ્તરીય સંપર્કો ફરી શરૂ થયા છે, વેપાર, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની ચર્ચાઓને પણ ફરી ગતિ મળી છે. આવા સમયે RCMPનું નિવેદન બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ મજબૂત કરવામાં મદદરૂપ બની શકે છે, જોકે નિજ્જર હત્યા કેસની તપાસ હજુ ચાલુ હોવાનું કેનેડિયન પોલીસે સ્પષ્ટ કર્યું છે.
