લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં અલ કાયદાનો હાથ
2025 ના હુમલામાં 11 લોકોના મૃત્યુ થયા હતા; દેશમાં અલ કાયદા સાથે સંલગ્ન જૂથની હાજરી
દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમે તૈયાર કરેલા આ રિપોર્ટમાં આ હુમલા પાછળ ‘અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ (AQIS)ને જવાબદાર સંગઠન ગણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેબ્રુઆરીમાં બહાર આવેલા રિપોર્ટમાં આ ધમાકાને જૈશ-એ-મોહમ્મદ સાથે જોડવામાં આવ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 11 લોકોના મોત થયા હતા.
દેશમાં આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. મે 2026માં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં 10 આરોપીઓ સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓ અલ-કાયદા સાથે જોડાયેલા ‘અંસાર ગઝવત-ઉલ-હિંદ’ મોડ્યુલના સભ્યો હતા, જે AQISનો જ એક ભાગ છે. આ આતંકવાદીઓ આઈઈડી રોકેટ આધારિત વિસ્ફોટકો અને ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટા પાયે હુમલાનું પૂર્વ આયોજન કરી રહ્યા હતા.
આ પણ વાંચો: ફૂડ પેકેટ પર સુગર, સોલ્ટ અને ફેટની ચેતવણી લેબલ ફરજિયાત બનાવો
રિપોર્ટમાં AQISની બદલાતી કાર્યશૈલી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, હવે આ આતંકી સંગઠન મોટા અને સહેલાઈથી ઓળખાઈ જાય તેવા જૂથોને બદલે નાના-નાના સેલ અને વિખરાયેલા નેટવર્ક દ્વારા સક્રિય થઈ રહ્યું છે. આ સિવાય, સંગઠન પોતાના ફંડિંગ અને લોજિસ્ટિક્સ મોડ્યુલને મજબૂત કરવાની કોશિશમાં છે. બાંગ્લાદેશમાં પણ ઓપરેશનલ સેલ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયા માટે આતંકી ખતરો વધી શકે છે.
રિપોર્ટમાં આતંકવાદીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધી રહેલા દુરુપયોગ અંગે ચેતવણી આપવામાં આવી છે. એનઆઈએ તપાસમાં સામે આવ્યું હતું કે, આ કેસનો ટેકનિકલ હેન્ડલર અને આરોપી જસીર બિલાલ વાની રોકેટ અને વિસ્ફોટકો બનાવવાની રીતો શીખવા માટે ‘ચેટજીપીટી’ અને ‘યુટ્યુબ’નો ઉપયોગ કરતો હતો. તે મોડ્યુલ માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડતો હતો.
