‘ખાખી’ પહેરવા યુવાનો આતૂર: ૧૫ લાખથી વધુ અરજી: દિવાળી બાદ શારીરિક કસોટી
પીએસઆઈ માટે ૪.૯૯ લાખ તો લોકરક્ષક માટે ૧૧.૦૫ લાખ અરજી: ૧૫ નવેમ્બર આસપાસ શારીરિક પરીક્ષા બાદ ઝડપથી લેખિત પરીક્ષા લેવાશે
ગુજરાત ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલની જાહેરાત
ગુજરાતમાં ખાખી મતલબ કે પોલીસની વર્દી ધારણ કરવા માટે યુવાનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહનો અંદાજ અરજીઓના આંકડા પરથી જ આવી જાય છે. દરમિયાન દિવાળી બાદ પોલીસમાં ભરતી થવા માટેની શારીરિક કસોટી લેવામાં આવનાર હોવાની જાહેરાત થતાં ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત બની ગયા છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે ૧૫ નવેમ્બર આસપાસ શારીરિક પરીક્ષા લેવામાં આવશે જે પૂર્ણ થયા બાદ તુરંત જ લેખિત પરિક્ષા પણ લેવાઈ જશે. ભરતી બોર્ડ દ્વારા એપ્રિલ મહિનામાં લોકરક્ષક (એલઆર) અને પીએસઆઈ માટે અરજી મંગાવવામાં આવી હતી જે પ્રમાણે પીએસઆઈ માટે ગુજરાતમાંથી ૪.૯૯ લાખ અને લોકરક્ષક માટે ૧૧.૦૫ લાખ અરજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હસમુખ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનામાં અરજી મંગાવાયા બાદ ઉમેદવારો તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે એપ્રિલમાં શાળા-કોલેજની પરીક્ષાના પરિણામનો સમય હતો સાથે સાથે ઉનાળો અને ચોમાસાના કારણે તુરંત જ શારીરિક કસોટી લેવામાં ન આવે. આ માંગને ધ્યાનમાં રાખી બોર્ડે ત્યારે શારીરિક કસોટી લેવાનું ટાળ્યું હતું. હવે એવા ઉમેદવારો કે જેમણે એપ્રિલમાં પરીક્ષા આપી હતી એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવાઈ હતી.
આ રીતે એપ્રિલમાં પીએસઆઈ માટે ૪.૭૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી હતી. જ્યારે બીજા તબક્કામાં પીએસઆઈ માટે ૫૧૮૦૦ અને લોકરક્ષક માટે ૧.૩૫ લાખ અરજી આવી હતી. હવે ૧૫ નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવાશે જેમાં પીએસઆઈની પરીક્ષા માટે બે પેપર લેવાશે મતલબ કે પીએસઆઈની બે લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી ડિસેમ્બરમાં પીએસઆઈ માટે લેખિત પરીક્ષાનું આયોજન થશે.
તેમણે એમ પણ ઉમેર્યું કે બન્ને પોસ્ટ માટે જેમણે અરજી કરી છે તેમણે માત્ર એક જ વખત શારીરિક કસોટી આપવાની રહેશષ.