જથ્થાબંધ મોંઘવારી વધીને ક્યાં પહોંચી ? શાક -ભાજીના ભાવ કેટલા વધ્યા ? જુઓ
તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અને હવે દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઈ રહી છે. દેશમાં શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી 1.84 ટકા થઈ હતી. જે ઓગસ્ટમાં 1.31 ટકા હતી.
સોમવારે સરકારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જારી કર્યા હતા. જે અનુસાર, ડુંગળી, બટાટા, ટામેટાં સહિતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારાના કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો હતો. શાકભાજીના ભાવ 40થી 60 ટકા સુધી વધ્યા છે.
પ્રાઈમરી આર્ટિકલ્સમાં જથ્થાબંધ મોંઘવારી વધી 6.59 ટકા થઈ હતી. જે ઓગસ્ટમાં 2.42 ટકા હતી. ફૂડ આર્ટિકલ્સના જથ્થાબંધ ફુગાવો 11.53 ટકા રહ્યો છે. જે ઓગસ્ટમાં 3.11 ટકા હતો. શાકભાજીના જથ્થાબંધ ભાવ વધી 48.73 ટકા થયા છે, જે ઓગસ્ટમાં 10.11 ટકા ઘટ્યા હતા. ઈંધણ અને વીજના જથ્થાબંધ ભાવ 4.05 ટકા ઘટ્યા છે. જે ગતમહિને 0.67 ટકા ઘટ્યા હતા.
લોકોને મોંઘવારીમાંથી છેલ્લા ઘણા સમયથી ઘર ચલાવવામાં ભારે તકલીફ પડી રહી છે. તહેવારોમાં અતિ ગરીબ અને ઓછી આવકવાળા પરિવારોની હાલત તો દયનીય બની ગઈ છે.
