દિલ્હી આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને શું મળી રાહત ? કોર્ટે શું કહ્યું ? વાંચો
દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન પોલીસ પર ધમકી અને હુમલા બાદ ફરાર થયો હતો. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેની આગોતરા જામીન અરજીની સુનાવણી થઈ હતી. કોર્ટે અમાનતુલ્લાહ ખાનની ધરપકડ પર 24મી ફેબ્રુઆરી સુધી રોક લગાવી દીધી હતી. તેનું નિવેદન પણ સીસીટીવી સામે જ લેવાશે તેમ કોર્ટે કહ્યું હતું.

જો કે અદાલતે તેને તપાસમાં જોડાવા અને સહકાર આપવાનો આદેશ આપ્યો હતો. જામિયા નગરમાં પોલીસ ટીમ પર કથિત હુમલાનું નેતૃત્વ કરવાના આરોપમાં અમાનતુલ્લા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અમાનતુલ્લાહ ખાન અને તેમના સમર્થકો વિરુદ્ધ સોમવારે પોલીસ ટીમ પર હુમલો કરવા, રમખાણો ભડકાવવા અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હત્યાના પ્રયાસના આરોપી શાહબાઝ ખાનને ક્રાઈમ બ્રાન્ચ ટીમની કસ્ટડીમાંથી છોડાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દક્ષિણ-પૂર્વ જિલ્લાના ડેપ્યુટી પોલીસ કમિશનર રવિ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘પોલીસ ટીમ ધારાસભ્યના ઘરે પૂછપરછ માટે ગઈ હતી, પરંતુ તે મળ્યા ન હતા.’ વાસ્તવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને પકડવા માટે જામિયા નગર ગઈ હતી. ધારાસભ્યની હાજરીમાં પોલીસ કાર્યવાહીમાં અવરોધ ઊભો થયો. ક્રાઈમ બ્રાન્ચમાં તહેનાત ઈન્સ્પેક્ટર સુનીલ કાલખંડેની ટીમ પર હુમલો થયા બાદ હત્યાના પ્રયાસના આરોપીને મુક્ત કરવામાં આવ્યો હતો. તે સમયે ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા.