મણિપુર હિંસા મુદ્દે શું થયો નવો ધડાકો ? સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો
મણિપુર હિંસા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પ્રથમ વખત મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહની ભૂમિકા હોવાના આરોપ મૂકાયા હતા. સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા ઑડિયો ક્લિપ્સનો ફોરેન્સિક રિપોર્ટ મંગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 24 માર્ચે થશે. મણિપુરમાં મે, 2023થી હિંસા ચાલુ છે. સુપ્રીમની બેન્ચે આદેશ કર્યો હતો કે 24 માર્ચે એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી કથિત ઑડિયો ક્લિપ્સ મારફત આરોપ મૂકવામાં આવ્યો છે કે, મણિપુરમાં જાતિય હિંસા ભડકાવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહ જ સામેલ હતાં. બાર એન્ડ બેન્ચ અનુસાર, એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે, મેં ટેપ રેકોર્ડિંગ્સની ક્લિપ રજૂ કરી છે. ટ્રુથ લેબએ પુષ્ટી કરી છે કે, તેમાં 93 ટકા અવાજ મુખ્યમંત્રીનો જ છે. જો કે, સોલિસિટર જનરલે લેબનું નામ લેવા પર સામે દલીલ કરી હતી કે, એડવોકેટ ભૂષણને ટ્રુથ લેબ્સ એફએસએલ રિપોર્ટ કરતાં વિશ્વસનીય લાગે છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મણિપુર હિંસા મામલે સુનાવણી કરી રહી છે. કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ ટ્રસ્ટ દ્વારા રીટ દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કથિત ટેપ્સની સ્વતંત્ર તપાસની માગ કરી છે.
જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય હાલ લથડી રહ્યું છે. આપણે જોવાનું રહેશે કે, આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવી જોઈએ કે હાઈકોર્ટે…. મને ઑડિયો ક્લિપ્સની ખરાઈ વિશે પણ ખબર નથી. એફએસએલ રિપોર્ટ ક્યારે આવશે? છ સપ્તાહમાં આ રિપોર્ટ રજૂ કરો. 24 માર્ચે એફએસએલ રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવાનું રહેશે.