ઝારખંડની નવી સરકારનું શું થયું ? જુઓ
- વિશ્વાસના મતનું શું પરિણામ ?
ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીની ચંપઈ સોરેન સરકારે અગ્નિ પરીક્ષા પાસ કરી લીધી હતી. નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેને વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો હતો. ગૃહમાં વિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થયું હતું. 47 સભ્યોએ સરકારની તરફેણમાં અને 29 સભ્યોએ વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. વિધાનસભામાં કૂલ 81 બેઠકો છે. બહુમતીનો આંકડો 41 છે. આ રીતે વિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો હતો.
ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના નેતૃત્વવાળા સત્તાધારી ગઠબંધનના તમામ ધારાસભ્ય વિધાનસભામાં હાજર રહ્યા હતા. વિધાનસભામાં જેએમએમ-કોંગ્રેસ -રાજદ ગઠબંધના 47 સભ્યો છે. તેને સીપીઆઇએમેલના 1 સભ્યનો બહારથી ટેકો છે.
ચંપઈ સોરેન સરકારના ફ્લોર ટેસ્ટમાં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, ’31 જાન્યુઆરીનો કાળો દિવસ દેશની લોકશાહીમાં જુદી રીતે જોડાયો. હું જાણું છું ત્યાં સુધી એ દિવસે દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ. મને લાગે છે કે, આ ઘટનાને અંજામ આપવા માટે ક્યાંક ને ક્યાંક રાજભવન પણ સામેલ છે. જે રીતે આ બધું થયું, તે જાણીને હું આશ્ચર્યચકિત છું.’
અમે હજુ હાર માની નથી:હેમંત
હેમંત સોરેને કહ્યું, ‘અમે હજુ હાર નથી માની. જો તેઓને લાગે છે કે મને જેલના સળિયા પાછળ ધકેલીને સફળ થશે, તો આ ઝારખંડ છે, જ્યાં દરેક ખૂણે આદિવાસી-દલિત વર્ગના અસંખ્ય સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આજે મારી 8.5 એકર જમીન કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જો તેમનામાં હિંમત હોય તો મારા નામે નોંધાયેલ જમીનના દસ્તાવેજો બતાવો, જો આ સાબિત થશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ.’
વિધાનસભામાં 81 સભ્ય
ઝારખંડ વિધાનસભામાં 81 સભ્ય છે, જેમાં ઝામુમો, કોંગ્રેસ અને રાજદના ગઠબંધનના 47 ધારાસભ્ય છે. આ ગઠબંધનને સીપીઆઈએમએલ (એલ) ના એક ધારાસભ્યનું બહારથી સમર્થન છે. ઝામુમો અને ગઠબંધનના ધારાસભ્યો રવિવારે સાંજે જ હૈદરાબાદથી વિશેષ વિમાનમાં રાંચી પહોંચી ગયા હતા. આ તમામ ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવા પ્રતિબદ્ધતા દાખવી ચૂક્યા હતા.