બિહારમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજ વચ્ચે શું થયું ? કોનું મોત થયું ? વાંચો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિશ્વજિત યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં વિશ્વજિતનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે જયજીતની સ્થિતિ નાજુક છે. બિહારના ભાગલપુરમાં જગતપુર ખાતે આ ઘટના બની હતી. જમીન વિવાદ અને પાણી પ્રશ્ન આ માટે કારણભૂત હોવાનું મનાય છે. બંને ભાઇઓના માતાને પણ ગોળી લાગી ગઈ હતી.
આ ઘટના નિત્યાનંદ રાયના બનેવી નવગછિયાના જગતપુર રહેવાસી ગુલ્લો યાદવના ઘરે ગુરુવારે સવારે બની હતી. બંનેએ સામાન્ય વિવાદમાં એકબીજા પર ગોળી ચલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સવારે સાડા છ વાગે જયજીતને પાણી આપનાર નોકરે પાણી વાળા વાસણમાં હથેળી ડુબોડીને પાણી આપ્યુ હતુ, જેને લઈને વિશ્વજિત સાથે બોલાચાલી થવા લાગી હતી.
પહેલેથી પણ બંને ભાઈઓનું બનતું નહોતું. પાણીના સામાન્ય વિવાદમાં વિશ્વજિત ઘરની અંદરથી પિસ્તોલ કાઢીને લાવ્યો અને જયદીપના મોઢાને નિશાન બનાવીને ફાયર કરી દીધું. ગોળી જડબાને નુકસાન પહોંચીને નીકળી ગઈ. જયજીત પહેલા તો જમીન પર પડી ગયો પરંતુ થોડી મિનિટમાં તાકાત લગાવીને ઉઠ્યો અને વિશ્વજિતથી અથડામણ કરીને તેના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી. તે બાદ તેને નજીકથી ગોળી મારી દીધી હતી.
આ ઘટનામાં વિશ્વજિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, આમાં શ્વાસ ચાલતો હોવાની આશામાં પરિવારજનોએ અફરા-તરફીમાં તેને પણ નવગછિયા હોસ્પિટલ પહોંચાડાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને જોઈને મૃત જાહેર કરી દીધો હતો. જયજીતની હાલત પણ વધુ લોહી નીકળી જવાના કારણે નાજુક છે.પોલીસે આ બારામાં તપાસ શરૂ કરી છે .