સંસદમાં પાણી ટપકતા વિપક્ષે સરકાર વિષે શું કહ્યું ? વાંચો
રાજધાની દિલ્હી બુધવારે સાંજે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. ગુરુવારે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તો ભારે વરસાદને પગલે નવી સંસદ ભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું. ત્યારે હવે વિપક્ષે સરકાર પર નિશાન સાધીને જૂના સંસદ ભવન સાથે તેની સરખામણી કરી હતી. અનેક વિપક્ષી નેતાઓએ આ વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ.
જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકારમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઇનનો ભાગ છે કે પછી…’
પેપર લીક , સંસદની છત લીક
અખિલેશ ઉપરાંત કૉંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસ સાંસદે લખ્યું છે કે, ‘બહાર પેપર લીક, અંદર પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ નવા સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે. નિર્માણ પૂરું થયાના એક વર્ષ બાદ જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.’