ગેરકાયદેસર જે બાકી રહ્યું તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરશું! DGPને રાજકોટના ડિમોલિશનની તમામ વિગતથી વાકેફ કરાયા
રાજકોટ મહાપાલિકા દ્વારા ગત સોમવારે શહેરના અત્યંત સંવેદનશીલ વિસ્તાર એવા જંગલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ઉભી થયેલી 1509 મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ત્યારે અહીં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ દ્વારા પણ રાત-દિવસ એક કરવામાં આવ્યા હોય રવિવારે રાજકોટની મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ પોલીસવડા ડૉ.કે.એલ.એન.રાવ દ્વારા જંગલેશ્વરની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, તમામ ડીસીપી સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડિમોલિશન દરમિયાન પોલીસે કરેલી કામગીરીની તમામ વિગતથી ડીજીપીને વાકેફ કર્યા હતા. આ પછી પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ડીજીપી દ્વારા પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત ડૉ.રાવ દ્વારા એમ પણ જણાવાયું હતું કે જંગલેશ્વરમાં હિસ્ટ્રિશીટર સહિતનાએ બનાવેલી ગેરકાયદેસર ઓરડી સહિતના દબાણ તોડી પાડવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં અહીં ગેરકાયદેસર જે પણ બાકી રહ્યું છે તેને હટાવી જંગલેશ્વરને ‘ક્રાઈમમુક્ત’ કરવામાં આવશે.
બેઠકમાં રાજકોટના મહાજનોએ બળાપો ઠાલવ્યો
રાજ્યના પોલીસવડા ડૉ.કે.એલ.એન.રાવે રવિવારે રાજકોટની મુલાકાત લઈને અહીં સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં સૈરાષ્ટ્રના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે બેઠક પૂર્ણ થયા બાદ તમામ સાંસદો, ધારાસભ્યો ઉપરાંત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો સહિતના સાથે એક બેઠક બોલાવાઈ હતી. આ બેઠકમાં સૌએ એક જ સૂરે ડીજીપીને કહ્યું હતું કે રાજકોટનાટ્રાફિકથી લોકો તૌબા પોકારી ગયા હોય આ દિશામાં પોલીસે સજ્જડ કાર્યવાહી કરવાની જરૂર છે.
મહાજનોએ ડીજીપી સમક્ષ બળાપો ઠાલવતા કહ્યું કે રાજકોટમાં દિવસેને દિવસેવાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પરંતુ રસ્તાની પહોળાઈ હજુ ઠેરની ઠેર હોવાને કારણે વારંવાર અકસ્માતો, ટ્રાફિકજામ સહિતની સમસ્યા ઉદ્ભવી રહી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ પણ ઓછી પડી રહી છે સાથે સાથે ટ્રાફિક વિભાગમાં સ્ટાફ પણ ઓછો હોય તેવું લાગી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ ટ્રાફિક પોલીસ જ અણઘડ રીતે રસ્તાની વચ્ચોવચ્ચ ચેકિંગ કરવા ઉભી રહી જતી હોવાથી ટ્રાફિકજામ સર્જાઈ ટ્રાફિકથી તોબા મુશ્કેલીનો પાર રહેતો નથી. સૌથી પહેલાં તો ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરવાની જરૂર છે સાથે સાથે જે પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની રીતમાં પણ સુધારો થવો જોઈએ અન્યથા આ સમસ્યા દિવસેને દિવસે વકરતી જ જશે. મહાજનોના આ પ્રશ્નને ડીજીપીએ પણ ગંભીરતાથી લઈ જવાબદાર અધિકારીઓને સુદઢ કાર્યવાહી કરવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત બેઠકમાં મોટી રકમનું રોકાણ કરાવી ઉંચું વળતર આપવાની લાલચે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા હોવા ઉપરાંત અલગ-અલગ માધ્યમથી સાયબર ક્રાઈમ આચરવામાં આવતું હોય તે મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી સાયબર ક્રાઈમને નાથવા માટે સુદઢ માળખાની રચના કરવાનું સુચન પણ મહાજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપરાંત ઉદ્યોગપતિ મનિષભાઈ માડેકા, આર.કે.યુનિવર્સિટીના ડેનિશ પટેલ, સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, સાહિત્યકાર સાંઈરામ દવે, રાજીવ દોશી, યોગીન છનીયારા, પ્રયાસ ફાઉન્ડેશનના પૂજાબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
