પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કરનાર ભાજપના આ ધારાસભ્યએ બળાપો કાઢ્યો
એકનાથ શિંદેએ મને અપરાધી બનાવ્યો: ગણપત ગાયકવાડ
મહારાષ્ટ્રના ઉલ્લહાસનગરમાં જમીન વિવાદમાં પોલીસ સ્ટેશનમાં જ શિવસેના ( શિંદે) ના નેતા મહેશ ગાયકવાડના શરીરમાં ગોળી ધરબી દેનાર ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોતાના એ કૃત્ય બદલ દોષનું ઠિકરું મુખ્યમંત્રી એકનાથ શિંદેના માથા પર ફોડ્યું હતું.
તેમણે કહ્યું કે મારી જમીન બળજબરીથી છીનવી લેવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં મારા પુત્ર સાથે દુર્વ્યવહાર થયો. તેને માર મારવામાં આવ્યો. આ સંજોગોમાં હું ગોળીબાર ન કરું તો શું કરું? ધરપકડ પહેલા એક ન્યુઝ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાને એકનાથ શિંદેએ અપરાધી બનાવી દીધો હોવાની તેમણે કેફિયત આપી હતી.
તેમણે એકનાથ શિંદે ઉપર ભ્રષ્ટાચારના આરોપ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે મે કરેલા કામનો શ્રેય શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે મોટા મોટા બોર્ડ લગાવીને લઈ રહ્યા છે અને મારી ઉપર ભ્રષ્ટાચાર નો કેસ કરવામાં આવ્યો છે. તેમણે શિંદેએ પોતે ભ્રષ્ટાચાર કરીને કેટલા પૈસા બનાવ્યા તે જાહેર કરવાની માંગણી કરી હતી. તેમણે ઉમેર્યું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે તો રાજ્યમાં ગુનાખોરી વધશે.
ઠાકરે ને આપ્યો એ જ રીતે ભાજપને દગો આપશે
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ( શિંદે )ની યુતી સરકાર છે ત્યારે ભાજપના જ ધારાસભ્યએ કરેલા આક્ષેપોને કારણે ભારે ચકચાર જાગી છે. ગણપત ગાયકવાડે કહ્યું કે મહારાષ્ટ્રને સારી રીતે ચલાવવું હોય તો એકનાથ શિંદેએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે એ હેતુની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ ને અપીલ કરતાં જણાવ્યું કે એકનાથે જે રીતે ઉદ્ધવ ઠાકરેને દગો આપ્યો એ જ રીતે ભાજપ સાથે પણ વિશ્વાસઘાત કરશે.