યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેશે…રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-દેશ તૈયાર રહે, રાજ્ય સરકારોને વડાપ્રધાને આપ્યા બે ટાસ્ક
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા સંઘર્ષ અને તેની વૈશ્વિક અસરો અંગે વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલું આ યુદ્ધ માત્ર પ્રાદેશિક સંઘર્ષ નથી, પરંતુ તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટના ઉંબરે લાવીને ઊભું કરી દીધું છે. ભારત માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે કારણ કે દેશની કુલ તેલ આયાતનો 80 ટકા હિસ્સો હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait)માંથી પસાર થાય છે.
વડાપ્રધાને હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા માલવાહક જહાજો અને તેમાં રહેલા ભારતીય નૌકાદળના કર્મચારીઓ તેમજ ક્રૂ સભ્યોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગલ્ફ દેશોમાં આશરે એક કરોડ ભારતીયો વસવાટ કરે છે. આ નાગરિકોની સુરક્ષા એ ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત આ મામલે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા સાથે સતત રાજદ્વારી સંપર્કમાં છે જેથી તણાવ ઓછો કરી શકાય અને દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખી શકાય. સાથે જ તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સંકટનો આપણે ધૈર્ય સાથે શાંત મને સામનો કરવાનો છે. યુદ્ધમાં પળેપળ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણે દરેક સંકટથી લડવા તૈયાર રહેવું પડશે.
દેશમાં ઈંધણની અછતની અફવા ફેલાઈ છે ત્યારે તેને ફગાવી દેતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા 11 વર્ષમાં ભારતે 5.3 મિલિયન મેટ્રિક ટન ક્ષમતાના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ સ્થાપિત કર્યા છે. ભારતે પોતાની નિર્ભરતા ઘટાડવા માટે તેલ આયાત કરતા દેશોની સંખ્યા 27થી વધારીને 41 કરી છે. વધુમાં, સરકાર ઘરેલુ ગેસનો સરળ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે LPGની સાથે PNGના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
‘આત્મનિર્ભર ભારત’ અને શિપિંગ ક્ષેત્રમાં મોટી પહેલ
વડાપ્રધાને ચોંકાવનારો આંકડો રજૂ કરતા કહ્યું કે ભારતનો 90ટકાથી વધુ દરિયાઈ વેપાર હાલમાં વિદેશી જહાજો દ્વારા થાય છે, જે કટોકટીના સમયે દેશને સંવેદનશીલ બનાવે છે. આના ઉકેલ રૂપે સરકારે રૂ.70,000 કરોડની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય “મેડ ઇન ઇન્ડિયા” જહાજોનું નિર્માણ અને સ્ટોરેજ ક્ષમતા મજબૂત કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટીનો સામનો કરવા અને તેને દૂર કરવા માટે ‘આત્મનિર્ભર ભારત’ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.
રાજ્ય સરકારોને સંગ્રહખોરી સામે લાલ આંખ કરવા આદેશ
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા યુદ્ધનો લાભ ઉઠાવીને સ્થાનિક બજારમાં સંગ્રહખોરી કે કાળાબજાર કરનારા તત્વો સામે પીએમ મોદીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે તમામ રાજ્ય સરકારોને સૂચનાઓ આપી છે કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અને ભાવ પર સતત દેખરેખ રાખવી.જ્યાં પણ સંગ્રહખોરીની ફરિયાદ મળે ત્યાં તુરંત દરોડા પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં, સામાન્ય નાગરિકને ફુગાવાથી બચાવવા એ વહીવટીતંત્ર માટે ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
શાંતિ અને સંવાદનો સંદેશ
સંબોધનના અંતે વડાપ્રધાને વિશ્વને શાંતિનો સંદેશ આપતા કહ્યું કે ભારત હંમેશા નાગરિકો અને માનવીય માળખાગત સુવિધાઓ પરના હુમલાની નિંદા કરે છે. આર્થિક પાયા મજબૂત હોવા છતાં, યુદ્ધની અસરોને પહોંચી વળવા માટે એક ‘આંતર-મંત્રી જૂથ’ (Inter-Ministerial Group)ની રચના કરવામાં આવી છે, જે ટૂંકા અને લાંબા ગાળાના આર્થિક પડકારોનું વિશ્લેષણ કરશે.
