રાજકોટ મનપાની મતિ મારી ગઈ ! સ્વિમિંગ પૂલમાં હવે ગમે તેને એક વર્ષનું સભ્યપદ અપાશે, જાણો હવે કેટલી ફી ચૂકવવી પડશે
એક નહીં, બલ્કે અનેક વખત નિયમોના પાલનમાં ઉંધેકાંધ પછડાટ ખાતી મહાપાલિકાની મતિ ફરી એકવખત મારી ગઈ હોય તે પ્રમાણે સ્વિમિંગ પુલમાં અત્યંત અણઘડ કહી શકાય તેવો નિર્ણય લઈ લેતાં તરવૈયાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાપાલિકા દ્વારા તાજેતરમાં જ એક એવો ઠરાવ કરવામાં આવ્યો છે જેમાં નક્કી કરાયું છે કે સ્વિમિંગ પુલમાં હવે કોઈને પણ એક વર્ષનું સભ્યપદ આપી દેવામાં આવશે! આ નિર્ણયથી નિયમિત તરણ કરનારા તરવૈયાઓ નારાજ થયા છે અને તેમનું કહેવું છે કે એક વર્ષનું સભ્યપદ આપવાથી અનેક પ્રકારની નુકસાની થઈ શકે છે.
મહાપાલિકા દ્વારા અત્યાર સુધી 3-3 મહિનાના 4 સેશન તેમજ 3-3 મહિનાના 2 સેશન મળી કુલ 6 સેશન કર્યા બાદ કોઈ સભ્યને વાર્ષિક સભ્યપદ જોઈએ તો મળી શકતું હતું. દોઢ વર્ષ સુધી તરણ કર્યું હોવાને કારણે તરવૈયો પણ મંઝાઈ ગયો હોવાથી બીજી કોઈ ચિંતા રહેતી નહોતી. વળી, આ નિયમને કારણે તંત્રને છ સેશનની મળી કુલ 3620 રૂપિયા આવક પણ થતી હતી. પ્રથમ 4 સેશનના પ્રતિ સેશન 670 રૂપિયામાં તંત્રને 2700 રૂપિયા અને ત્યારબાદના 2 સેશન પેટે પ્રતિ સેશન 470 રૂપિયામાં કુલ 940 રૂપિયા મળી કુલ 3620 રૂપિયા આવકપેટે મળતી હતી.
આ પણ વાંચો :બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત: રાજકોટ સહિત રાજ્યની અનેક પાસપોર્ટ ઓફિસ, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી
જો કે કોઈને પણ એક વર્ષનું સભ્યપદ આપી દેવાનો ઠરાવ કરવામાં આવતા હવે ફી 3620માંથી ઘટીને સીધી 1070 રૂપિયા થઈ જશે, જેના કારણે તંત્રની તિજોરી પર તેનો સીધો અસર પડશે. તેમાં પણ કોઈ શંકા નથી. ફીની રકમને કોરાણે મુકી, અન્ય નુકસાની પર નજર કરવામાં આવે તો વાર્ષિક સભ્યપદ મેળવનાર વ્યક્તિ નિયમિત સ્વિમિંગ કરવા આવશે જ તેની કોઈ ગેરંટી નથી, જેના કારણે કાગળ ઉપર પ્રતિ બેન્ચ સભ્ય સંખ્યા વધારે દેખાશે પણ પુલમાં વાસ્તવિક રીતે ઓછી જણાશે. વળી, એક બેન્ચમાં 300 તરવૈયાઓને જ સમાવવા તેવો નિયમ હોવાથી 300થી વધુ તરવૈયા કાગળ ઉપર નોંધાઈ જાય પરંતુ વાસ્તવમાં 200 પણ નિયમિત આવે તો 100 તરવૈયાની ખોટ પુલમાં વર્તાશે.
