રાજકોટ : પારકી જમીન પર ચણાયેલા 26 મકાન તોડતાં જ મામલો ઉગ્ર બન્યો, મહિલાઓએ સ્ટાફ સાથે કરી માથાકૂટ
વોર્ડ નં.૧૦માં આવેલી પરમેશ્વર સોસાયટી, શેરી નં.૩ના મેઈન રોડ પર મહાપાલિકાનું ડિમોલિશન
શહેર પોલીસ દ્વારા ગુનેગારોના ગેરકાયદે બાંધકામ તેમજ વીજ કનેક્શન કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ મહાપાલિકા દ્વારા પારકી જમીન ઉપર પોતાનું મકાન બાંધીને રહેતાં લોકો સામે કાર્યવાહી કરી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવા ૨૬ મકાનો ઉપર બૂલડોઝર ફેરવવાનું શરૂ કરવામાં આવતાં જ મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી માથાકૂટ શરૂ કરતાં થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો.
મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નં.૧૦માં આવેલી પરમેશ્વર સોસાયટી શેરી નં.૩ના મેઈન રોડ પર ચણાઈ ગયેલા ૨૦ પાકા મકાન તેમજ છ કાચા મકાન તોડી પાડ્યા હતા. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ચણાયેલું કારખાનું પણ દૂર કરી અંદાજે ૫૨૫ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
એક સમયે મકાનો તોડવાનું શરૂ કરવામાં આવતાં મહિલાઓ દ્વારા સ્ટાફ સાથે માથાકૂટ કરવામાં આવી હતી પરંતુ તેમને મચક આપ્યા વગર ડિમોલિશન કરાયું હતું