રાજકોટ : લખપતિ વૃદ્ધના ઘરમાં 25 લાખની ચોરી બાદ હવે અપહરણનો પ્રયાસ
રાજકોટમાં ગુંડાગીરી, લુખ્ખાગીરીએ માજા મુકી હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ચોંકાવનારા બનાવ આકાર લઈ રહ્યા છે. ગત વર્ષે નવેમ્બરમાં જે વૃદ્ધના ઘરમાં 25 લાખની ચોરી થઈ એ જ વૃદ્ધનો હવે અપહરણનો પ્રયાસ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી અપહરણકારેોને સકંજામાં લીધા હતા.
આ અંગે સોરઠિયાવાડી શેરી નં.6ના ખૂણે ભવાની સીંગ નામની દુકાન ધરાવતાં જગદીશભાઈ કાંતિલાલ સાતા (ઉ.વ.67)એ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેઓ પટેલનગર-4, સદ્ભાવના સોસાયટી શેરી નં.1માં રહે છે. તેમના પત્ની 20 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે જ્યારે સંતાનમાં એકમાત્ર પુત્રી છે જે તેના સાસરે છે. દરમિયાન ગત 23 એપ્રિલે રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરીને મોટર સાઈકલ ઉપર ઘેર જઈ રહ્યા હતા ત્યારે ઘરની શેરીમાં એક નંબર પ્લેટ વગરની સફેદ રંગની સ્વિફ્ટ કાર ધસી આવી હતી જેમાં ચાર લોકો બેઠા હતા. આ પછી કારની પાછલી સીટમાં 30થી 35 વર્ષના બે શખ્સો મોઢે રૂમાલ બાંધીને ઉતર્યા હતા અને જગદીશભાઈને છરી બતાવી `ગાડીમાં બેસી જા’ કહેતાં બેસવાનો ઈનકાર કર્યો હતો જેથી આ બન્નેએ જગદીશભાઈનું બાવડું પકડી લેતાં તે સ્કૂટર પરથી નીચે પડી ગયા હતા અને દેકારો કરવા લાગતાં ચારેય કાર લઈને ભાગી ગયા હતા.
બીજી બાજુ આ ઘટનાને કારણે જગદીશભાઈની તબિયત ખરાબ થઈ જતાં તેમણે ફરિયાદ નોંધાવી ન્હોતી પરંતુ જેવી તબિયત દુરસ્ત થઈ કે ફરિયાદ નોંધાવતાં જ પોલીસે તાત્કાલિક આકાશ કે જે અગાઉ જગદીશભાઈની દુકાનમાં જ નોકરી કરતો હતો તેના સહિતના શખ્સોને સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન આ ઘટના અંગે જગદીશભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે 29 નવેમ્બરે રાત્રે 10: 45 વાગ્યે તેમના ઘરમાં કોઈ ન્હોતું ત્યારે તેમના ઘરમાં બે શખ્સો ચોરી કરવા માટે ત્રાટક્યા હતા. આ વેળાએ જગદીશભાઈ ઘેર પહોંચી જતાં તેમને ખ્યાલ આવી ગયો હતો કે ઘરમાં ચોરી કરવા માટે કોઈ ઘૂસ્યું છે જેથી ચોર જે રૂમમાં ચોરી કરવા ઘૂસ્યા હતા તે રૂમને બહારથી બંધ કરી દઈને પોતાના મીત્ર અને પોલીસને જાણ કરી હતી. જો કે તસ્કરોએ રૂમનો દરવાજો તોડી નાખીને દોટ મુકી હતી. બન્નેએ ઘરમાંથી 3.50 લાખની રોકડ, 100 ગ્રામના બે સોનાના બિસ્કિટ, સોનાનું કડું સહિતની ચોરી કરી હોય જગદીશભાઈનો મીત્ર તેમની પાછળ ગયો હતો અને 80 ફૂટ રોડ પરથી એક શખ્સને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમને ત્યાં એક સગીર નોકરી કરતો હોય તે દુકાને હતો ત્યારે ચોરી કરનાર શખ્સે તેને વીડિયો કોલ કર્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી જગદીશભાઈ ફરિયાદ નોંધાવવા માટે ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં સઘળી વિગત પણ જણાવી હતી પરંતુ તસ્કરના સગાએ તેમને ધમકી આપતાં ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાનું જણાવ્યું હતું.
ચોરી કરનાર તો સગીર છે, છૂટી જશેઃ અમે તારું મર્ડર કરી નાખશું !
જેમના ઘરમાં ચોરી થઈ અને હવે અપહરણનો પ્રયાસ થયો તે સીંગ-દાળિયાના વેપારી જગદીશભાઈ સાતાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થયા બાદ તેઓ ભક્તિનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. આ વેળાએ તેમનું નિવેદન નોંધાયા બાદ તેઓ બહાર બેઠા હતા ત્યારે ચોરી કરનાર સગીરના બે સગા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે ચોરી કરનાર સગીર છે એટલે ઝડપથી છૂટી જશે પરંતુ અમે તારું મર્ડર કરી નાખશું તેવી ધમકી આપતાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે પોલીસે જગદીશભાઈને હિંમત આપી ફરિયાદ કરવા માટે સમજણ આપી હતી પરંતુ તેઓ માન્યા ન્હોતા.