પોલીસ ગુનેગારો સાથે ગેરવર્તન ન કરે, પોલીસને તેની મર્યાદાનો ખ્યાલ હોવો જોઇએ !! સુપ્રિમ કોર્ટની ચેતવણી
પોલીસ આરોપીઓ સાથે ખુબ જ ગેરવર્તન કરે છે તેવી દેશભરમાંથી ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે સુપ્રિમ કોર્ટે આ મામલામાં સ્પસ્ટ કહ્યું છે કે, પોલીસે તેની મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ. પોલીસે ગુનેગારો સાથે કાયદાનુસાર જ વર્તન કરવું જોઈએ. દેશના ઘણા કાયદા ગુનેગારોને ચોક્કસ પ્રકારના અધિકારો અને રક્ષણની ખાતરી આપે છે. સુપ્રિમ કોર્ટે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસ વડાને આ પ્રકારની ચેતવણી પણ આપી છે.
જસ્ટીસ હસનુદ્દીન અમાનુલ્લાહ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે પોલીસ રાજ્ય તંત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જેની સીધી અસર સમાજ અને ખાસ કરીને વ્યક્તિઓની સલામતી પર પડે છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ અધિકારીઓએ તેમની મર્યાદા ઓળંગવી ન જોઈએ. કારણે કે વ્યક્તિ અને સમાજનો પોલીસમાં વિશ્વાસ જળવાઈ રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ મામલામાં હરિયાણા પોલીસે એક વ્યક્તિની ઘરપકડ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું તેવો આરોપ લાગ્યો હતો. અરજદારના વકીલે આરોપ લગાવ્યો હતો કે ઉચ્ચ અધિકારીઓને ઈ-મેલ મોકલ્યા બાદ પોલીસ સ્ટેશનમાં શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને બે કલાક બાદ બપોરે લગભગ દોઢ વાગ્યે FIR દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, જો કોઈ વ્યક્તિ ગુનેગાર છે તો પણ તેની સાથે કાયદા અનુસાર યોગ્ય વર્તન થવું જોઈએ. આપણા દેશના કાયદા હેઠળ, ગુનેગાર પણ તેના વ્યક્તિત્વ અને ગૌરવનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ સુરક્ષાનો ઉપાયો મળેલા છે. એવું કહી શકાય કે સામાન્ય માણસ પાસેથી તેની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાની અપેક્ષા રાખી શકાય છે, પરંતુ પોલીસ પાસેથી નહીં.
તમામ રાજ્યોના પોલીસ વડાને માટે જારી કરાયેલી માર્ગદર્શિકામાં સુપ્રીમ કોર્ટે સંબંધિત પોલીસ અધિકારીઓને ભવિષ્યમાં આ બાબતોને ધ્યાને લેવા ચેતવણી આપી હતી. સાથે જ કોર્ટે પોલીસ વડાને એ પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે આવી ઘટનાઓ ફરી ન બને અને કોઈપણ અન્ય અધિકારી દ્વારા સત્તાના કોઈપણ કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં વરિષ્ઠ અધિકારી તરફથી શૂન્ય-સહિષ્ણુતા હોવી જોઈએ. જો આ બાબતે કોઇ કામગીરી નહિ થાય તોત્યારે ખૂબ જ કડક વલણ અપનાવવામાં આવશે અને દોષિત કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે.