પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
પહલગામ આતંકી હુમલાબાદ ભારતે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ અને લશ્કરી થાણાઓ નષ્ટ કર્યા ત્યારે વળતા હુમલામાંપાકિસ્તાને અમૃતસરમાં સુવર્ણ મંદિર ઉપર પણ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા પણ ભારતની બહાદુર અને સતર્ક સેનાએ એ તમામ હુમલા નિષ્ફળ બનાવી પાકિસ્તાનના નીચ બદઇરાદા ઉપર પાણી ફેરવી દીધું હતું.
ભારતીય સેનાની 15મી ઈન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ સોમવારે તસવીરો અને વિઝ્યુઅલ સાથે આ હુમલાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન ભારતના લશ્કરી થાણાઓ અને નાગરિકો ઉપરાંત મહત્વના ધાર્મિક સ્થળો ઉપર પણ હુમલા કરશે જ તેવું પહેલેથી અનુમાન હતું અને એ સંજોગોમાં અમૃતસરના સુવર્ણ મંદિરના રક્ષણ માટે સેનાએ વિશેષ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.
આઠમી મેના રોજ પાકિસ્તાને ડ્રોન અને લાંબા અંતરના મિસાઈલો વડે સુવર્ણ મંદિર ઉપર હુમલા કર્યા હતા. પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે સુવર્ણ મંદિર પર ત્રાટકવા માંગતા એ તમામ ડ્રોન અને મિસાઈલને અધવચ્ચે જ આંતરિને નષ્ટ કરી દીધા હતા અને સુવર્ણ મંદિરને આંચ પણ આવવા દીધી નહોતી. તેમણે, આકાશ મિસાઈલ સિસ્ટમ, એલ-70 એર ડિફેન્સ ગન સહિતની ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા કેવી રીતે પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો તેનું નિર્દેશન પણ કર્યું હતું