UPSCના ચેરમેન મનોજ સોનીએ આપ્યું રાજીનામું : કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ પદ છોડી દેતા અનેક ચર્ચા જાગી
નવી દિલ્હી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દેતા ચર્ચા જાગી છે. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થવાનો હતો પરંતુ અંગત કારણોસર પાંચ વર્ષ પહેલા પદ છોડી દીધું હતું. સુત્રો અનુસાર, મનોજ સોનીએ થોડા દિવસ પહેલા જ રાષ્ટ્રપતિને પોતાનુ રાજીનામુ મોકલી આપ્યુ હતું. હાલમાં તેઓ ઇન્ચાર્જ અધ્યક્ષ છે અને ૩૧ જુલાઈ સુધી કાર્યરત રહેશે. UPSC સિવિલ સર્વિસ સહિત દેશની પ્રતિષ્ઠિત નોકરીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે.
મનોજ સોની 2017માં આયોગમાં સભ્ય તરીકે જોડાયા હતા. 16 મે, 2023 ના રોજ, તેમને UPSC ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સરકારે હજુ નવા ચેરમેનના નામની જાહેરાત કરી નથી. યુપીએસસીમાં જોડાતા પહેલા તેઓ બે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
માનવામાં આવે છે કે મનોજ સોની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. 2005 માં તેમને એમએસ યુનિવર્સિટી, વડોદરાના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા. આ પછી તેમને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા. તેઓ અહીં બે ટર્મ માટે વાઈસ ચાન્સેલર રહ્યા હતા.