બિહારમાં જંગલરાજ: ગંજેરીઓએ ઢોરમાર મારી સાધ્વીને પતાવી દીધા
ગાંજો પીવાની ના પાડતા હત્યા કરી નાખી
ભોગ બનનાર સાધ્વી ભાજપના પૂર્વ નેતા હતા
બિહારના પટણા નજીક ખુસુરપુર ગામમાં રામ જાનકી મંદિર મઠના મુખ્ય સાધ્વીની ચાર યુવાનોએ ઢોરમાર મારીને હત્યા કરતા ભારે તંગદીલી ફેલાઈ ગઈ હતી. હત્યારાઓ એક જ પરિવારના સભ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં રામ જાનકી મંદિર મઠ પાસે ચાર યુવાનો ગાંજો પીતા હતા. મંદિરના એક સાધુએ એ યુવાનોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા વિફરેલા ગંજેરીઓએ સાધુને માર મારી માથું ફોડી નાખ્યું હતું અને નિર્વસ્ત્ર બનાવી દીધા હતા. બે યુવાનોએ તેમની વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. સાધુએ બચાવ માટે પોકારો પાડતા મઠમાંથી 60 વર્ષની ઉંમરના મુખ્ય સાધવી સીતા સહચર બહાર દોડી આવ્યા હતા.
તેમણે સાધુને બચાવવાનો પ્રયાસ કરતા આ યુવાનો તેમની ઉપર પણ તૂટી પડ્યા હતા અને એ દરમિયાન જમીન ઉપર પટકાવાને કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાધુ અને સાધ્વીને હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તબીબો એ સાધ્વીને મૃત જાહેર કર્યા હતા.
હત્યાનો ભોગ બનનાર સાધ્વી સીતા સહચર હોકીના જાણીતા ખેલાડી હતા. ભૂતકાળમાં તેઓ ભાજપના સક્રિય સભ્ય હતા.2001 થી 2010 સુધી તેમણે મહિલા મોરચાના મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. તેમની હત્યાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે તંગ દિલ્હી ફેલાઈ ગઈ હતી. પોલીસે નાસી છૂટેલા ચારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.