જમ્મુ : આતંકી હુમલામાં 4 જવાનો શહીદ, 4 ઘાયલ
કઠુઆ વિસ્તારમાં સેનાના વાહનો પર ગોળીબાર; સર્ચ ઓપરેશન હાથ ધરાયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે જમ્મુના કઠુઆમાં બિલવરના ધડનોટા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા અને 4 ઘાયલ થયા હતા. આતંકીઓ ગ્રેનેડ લાવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડવાના ઈરાદાથી ફેંક્યા હતા અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ આતંકી હુમલા બાદ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અને બિલવર તરફ જતો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. પોલીસ વિલાવર તરફ જતા દરેક વાહનનું પણ ચેકિંગ કરી રહી છે. લોઈ મરાડ ગામ પાસે આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યા બાદ ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ હુમલો કઠુઆ જિલ્લાના મચ્છેડી વિસ્તારના ધડનોટા ગામમાં ત્યારે થયો જ્યારે સેનાના જવાનો તેમના નિયમિત પેટ્રોલિંગ પર હતા.
સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો હતો
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાના 9મી કોર્પ્સ હેઠળના વિસ્તારમાં ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓના ગોળીબાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સાથે વધારાના સુરક્ષા દળોને પણ મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યાં 2 થી 3 આતંકવાદીઓની હાજરી છે, જેમણે કથિત રીતે સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જો કે આતંકીઓને શોધીને પતાવી દેવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું.