પહલગામ આતંકી હુમલામાં ISIની સંડોવણી : NIAની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
26 નિર્દોષ લોકોનો જીવ લેનાર આતંકીઓને લશ્કર-એ-તોઈબા જ નહી પણ પાકિસ્તાનની ISI દ્વારા પણ મદદ મળી હતી તેવો ચોંકાવનારો ખુલાસો એન. એન.આઈ.એ.ની તપાસમાં થયો છે. આ હુમલાનું કાવતરું જ ISIના ઇશારે લશ્કરનાં હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી દિશા નિર્દેશ અને ફંડિંગ ભંડોળ મળી રહ્યું હતું. NIAનું ડાયરેક્ટર જનરલના નેતૃત્વ હેઠળ તૈયાર કરાયેલો આ રિપોર્ટ ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપવામાં આવશે. જેના આધારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં આવશે. પુરાવા યુએન અને એફએટીએફ જેવા સંગઠનો સમક્ષ રજૂ કરવામાં આવી શકે છે.
NIAને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને હત્યાકાંડના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હત્યાકાંડ પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો.
આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઈશારે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવામાં ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ સ્થાનિક લોકો છે જે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ, માહિતી, માર્ગદર્શન અને છૂપાવવા માટે જગ્યા આપે છે. પહેલગામ તપાસમાં 150 થી વધુ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. OGWના સંપર્કો અને સહયોગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમની સામે વહીવટી અને કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
તપાસ ટીમે બૈસરન ખીણમાં હુમલાની ઘટનાનું 3D મેપિગ અને ઘટનાનું રિક્રિએશન કર્યું હતું. આનાથી બેતાબ ખીણમાં શસ્ત્રો છૂપાયેલા હોવાનું જાણવામાં મદદ મળી છે. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં વપરાયેલા કારતુસનો પણ સમાવેશ થતો હતો. તેને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા છે.
