પોપ ફ્રાન્સિસના નિધન પછી કેવી રીતે થશે નવા પોપની પસંદગી ? શું છે સફેદ અને કાળા ધુમાડાનું રહસ્ય
ખ્રિસ્તી ધર્મમાં પોપ રોમન કૅથલિક ચર્ચના સર્વોચ્ચ નેતાનું સ્થાન ભોગવે છે અને તેમને ઈસુ ખ્રિસ્તના પ્રથમ શિષ્ય સેન્ટ પીટરના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. પોપ ફ્રાન્સિસના નિધન બાદ હવે એ પવિત્ર પદ માટે નવા પોપ ની ચૂંટણી યોજવામાં આવશે.
પોપની ચૂંટણી એક ખાસ પ્રક્રિયા દ્વારા થાય છે, જેને કોન્ક્લેવ કહેવામાં આવે છે.જ્યારે પોપનું નિધન થાય અથવા તેઓ રાજીનામું આપે ત્યારે પાદરીઓની પવિત્ર સભા (College of Cardinals) નવા પોપની ચૂંટણી માટે એકઠી થાય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા15-20 દિવસની અંદર શરૂ થાય છે. આ વખતે કાર્ડિનલ કેવિન ફેરેલ, જેમને 2019માં પોપ ફ્રાન્સિસે કેમરલેન્ગો તરીકે નિયુક્ત કર્યા હતા તેઓ કોન્ક્લેવની તૈયારીઓ અને વેટિકનના વહીવટનું સંચાલન કરશે. કાર્ડિનલસ વેટિકન સિટીના સિસ્ટીન ચેપલમાં બંધ બારણે મળે છે.એ દરમિયાનનો સમયગાળો ખાલી આસન તરીકે ઓળખાય છે અને તે સમય દરમિયાન ચર્ચનું સંચાલન કાર્ડિનલ્સની ટીમ દ્વારા થાય છે.

ચર્ચના નિયમ મુજબ માત્ર 80 વર્ષથી ઓછી ઉંમરના કાર્ડિનલ્સ મતદાનમાં ભાગ લઈ શકે છે. હાલમાં આવા કાર્ડિનલ્સની સંખ્યા આશરે 120 છે. કાર્ડિનલ્સ ગુપ્ત મતદાન દ્વારા નવા પોપની પસંદગી કરે છે. દિવસમાં બે રાઉન્ડમાં સવારે અને સાંજે મતદાન થાય છે.દરેક મતદાનના રાઉન્ડમાં, દરેક કાર્ડિનલ એક નામ લખે છે. નવા પોપને ચૂંટવા માટે બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જો કોઈ ઉમેદવારને બહુમતી ન મળે તો મતપત્રો બાળી નાખવામાં આવે છે અને કાળો ધુમાડો બહાર આવે છે, જે ચૂંટણી નિષ્ફળ રહી હોવાનું દર્શાવે છે. જ્યારે નવા પોપ ચૂંટાઈ જાય ત્યારે મતપત્રો સફેદ ધુમાડો ઉત્પન્ન કરતાં ખાસ રસાયણ સાથે બાળવામાં આવે છે જે નવા પોપની ચૂંટણીનો સંકેત આપે છે.

પોપની સ્વીકૃતિ અને જાહેરાત
ચૂંટાયેલ વ્યક્તિને પૂછવામાં આવે છે કે શું તેઓ પોપનું પદ સ્વીકારે છે? જો તે સ્વીકારે, તો તે નવું નામ પસંદ કરે છે. ત્યારબાદ, “Habemus Papam” (અમને પોપ મળ્યા) ની જાહેરાત સેન્ટ પીટર્સ બેસિલિકાની બાલ્કનીમાંથી થાય છે, અને નવા પોપ લોકોને આશીર્વાદ આપે છે.જો કે માર્ટિન લ્યૂથરે શરૂ કરેલા પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના અનુયાયીઓ પોપની સત્તા સ્વીકારતા નથી.

ચૂંટણીના માપદંડ: કેથોલિક પુરુષ જ પોપ બની શકે છે
પોપની ચૂંટણી માટે કોઈ સખત કાનૂની માપદંડ નથી, પરંતુ પરંપરા મુજબ કેટલાક માપદંડો ને ધ્યાનમાં લેવામાં આવે છે. રોમન કૅથલિક ચર્ચની પરંપરા અનુસાર, ફક્ત પુરુષ જ પોપ બની શકે છે, કારણ કે પોપ ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ તરીકે ગણાય છે, અને ચર્ચના શિક્ષણ અનુસાર પાદરીપદ ફક્ત પુરુષો માટે છે.એ ઉપરાંત ઉમેદવાર રોમન કૅથલિક ધર્મનો અનુયાયી હોવો જોઈએ. સૈદ્ધાંતિક રીતે તો પાદરી ન હોય તેવા કોઈ પણ કૅથલિક પુરુષ પણ પોપ બની શકે છે, પરંતુ આધુનિક યુગમાં હંમેશાં કાર્ડિનલ્સમાંથી જ પોપ ચૂંટાય છે.

પોપની ચૂંટણી માટે સામાન્ય રીતે જેમને ચર્ચના શિક્ષણ, વહીવટ અને આધ્યાત્મિક નેતૃત્વનો અનુભવ હોય તેવા કાર્ડિનલ, બિશપ અથવા ઉચ્ચ પદના પાદરી હોય તે જ ઉમેદવાર બને છે. ઉમેદવારમાં ધર્મનિષ્ઠા, નમ્રતા, નેતૃત્વની ક્ષમતા અને ચર્ચના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા હોવી જોઈએ.ઉપરાંત ગરીબી, પર્યાવરણ, આંતરધર્મ સંવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓને સંબોધવાની ક્ષમતા પણ મહત્વની ગણાય છે. ઐતિહાસિક રીતે, મોટાભાગના પોપ ઇટાલીના હતા.જો કે આ અગાઉ પોલેન્ડના જોન પોલ II, જર્મનીના બેનેડિક્ટ XVI, અને આર્જેન્ટિનાના ફ્રાન્સિસ જેવા બિન-ઇટાલિયન પણ પોપ તરીકે ચૂંટાયા છે.