વિમાનના 297 મુસાફરોનો જાન કેવી રીતે બચ્યો ? શું થયું હતું ? જુઓ
ગુરુવારે પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રિયાધથી આવી રહેલા સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી, ત્યારબાદ વિમાનમાં સવાર તમામ 276 મુસાફરો અને 21 ક્રૂ મેમ્બરને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ‘ડોન’ અખબારે સિવિલ એવિએશન ઓથોરિટીના હવાલાથી જણાવ્યું કે પેશાવરના બાચા ખાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે પ્લેનમાં આગ લાગી હતી.
સીએએના પ્રવક્તા સૈફુલ્લાહના જણાવ્યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલર્સે પ્લેનના ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો અને સ્પાર્ક આવતા જોયા અને પાયલટને ચેતવણી આપી. તેણે એરપોર્ટની ફાયર અને રેસ્ક્યુ સર્વિસને પણ જાણ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાસ્થળે પહોંચ્યા પછી, ફાયર ફાઇટિંગ વાહનો ‘લેન્ડિંગ ગિયર’માં આગ ઓલવવામાં સફળ રહ્યા હતા.
સૈફુલ્લાએ કહ્યું, ‘અગ્નિશમન દળના જવાનોએ સમયસર કાર્યવાહી કરી અને લેન્ડિંગ ગિયરમાં લાગેલી આગને ઝડપથી કાબુમાં લીધી, જેના કારણે પ્લેનને એક મોટી દુર્ઘટનાથી બચાવી લેવામાં આવ્યું. પેશાવર એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓપરેશનલ અને તમામ ફ્લાઇટ્સ શેડ્યૂલ મુજબ ચાલુ રહેશે.