પ્રચાર વખતે જીભ કાબુમાં રાખો, નહીતર પગલાં : ચૂંટણી પંચની ચેતવણી
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં નેતાઓના નિવેદનોએ માઝા મૂકી છે. ચૂંટણી પંચની આચારસંહિતામાં વિવાદી નિવેદનો ઉપર પ્રતિબંધ હોવા છતાં ઘણા નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચે ફરી વખત આવા નેતાઓને ટકોર કરી છે અને વાણીમાં સંયમ નહી રહે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે, પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવશે તો તે કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહીને વિવાદ ઉભો કર્યો છે.
અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય એ કહ્યું હતું કે, ચૂંટણી પંચે 19 કેસોમાં સુઓમોટો કાર્યવાહી કરી છે, જે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો સામે છે. કોઇ સ્પેસિફિક કિસ્સામાં વિગતો મેળવીને કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી સભા ના કિસ્સામાં કોઈ આચાર સંહિતાનો ભંગ થયો છે કે નહીં તે બાબતોની ચકાસી કરીને પગલાં લેવામાં આવશે.