જેલમ નદીમાં વગર વરસાદે અચાનક પૂર! POkમાં વોટર ઇમરજન્સી જાહેર
મુઝફ્ફરાબાદ નજીક જેલમ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાં લાગતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સૂચના સાથે વોટર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે મસ્જિદો દ્વારા પણ લોકોને સલામત સ્થળે દોડી જવા અનુરોધ કરાયો હતો.અચાનક આવેલા પૂરને કારણે કેટલાક પશુઓ માર્યા ગયા હોવાના તેમ જ ખેતરોમાં પાકને નુકસાન થયું હોવાના પણ અહેવાલો છે.ભારતે ઉરી ડેમમાંથી જાણ કર્યા વગર પાણી છોડતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનો પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો.
પહેલગામ હુમલામાં 26 પર્યટકોના મૃત્યુ થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે સિંધુ જળસંધી સ્થગિત કરી દેતાં પાકિસ્તાન ભીંસમાં મુકાયું છે. એવા સંજોગો વચ્ચે જેલમ નદીમાં વગર વરસાદે અચાનક જ પાણીનું સ્તર વધવા લાગ્યું હતું અને પરિણામે મુઝફ્ફરાબાદ, હટ્ટીયન બાલા, કોહાલા, અને ધલકોટ જેવા વિસ્તારોમાં પૂર આવતાં લોકો અને તંત્ર ઊંઘતા ઝડપાઈ ગયા હતા. બાદમાં મુઝફ્ફરાબાદના જિલ્લા વહીવટી તંત્રએ લોકોને નદીકાંઠેથી દૂર રહેવા અને પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપી હતી.
આ પાણીનો પ્રવાહ કાશ્મીરના અનંતનાગથી શરૂ થયો હોવાનું અને પીઓકેના ચકોઠી વિસ્તારમાંથી વધ્યો હોવાનું પાકિસ્તાનના પ્રસાર માધ્યમોએ જણાવ્યું હતું.
પાકિસ્તાની સત્તાવાળાઓએ આ પગલાને “આંતરરાષ્ટ્રીય નિયમો અને જળ સંધિઓનું સંપૂર્ણ ઉલ્લંઘન” ગણાવીને ભારતે
‘ પાણી યુદ્ધ ‘ શરૂ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાનના આક્ષેપો કે પાણી છોડવા અંગે ભારતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નહોતી.