દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ ઈદ
રાષ્ટ્રપતિ મુર્મુ, મોદી અને રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ નમાઝ અદા કરીને લોકોએ એકબીજાને ગળે મળીને શુભકામનાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
કેરળ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બુધવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે ગુરુવારે ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-ફિતરની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે આ તહેવાર દરેકને શાંતિપૂર્ણ જીવન જીવવા અને સમાજની સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપવાસ કર્યા બાદ ઉજવાતો આ તહેવાર પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.
વડા પ્રધાન મોદીએ પણ ઈદના તહેવાર નિમિતે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા. હું ઈચ્છું છું કે આ અવસર કરુણા, એકતા અને શાંતિની ભાવનાને વધુ ફેલાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ઈદ મુબારક.’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર લખ્યું કે આ ઈદ એકતા અને ઉદારતાની ભાવના સાથે બધા માટે સુખ અને સમૃદ્ધિ લાવે.
