કાળા હરણના વિવાદ વચ્ચે ભોપાલમાં કાળા હરણનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીના નિશાન મળતા શિકારની આશંકા
કાળા હરણના વિવાદ વચ્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કાળા હરણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હવે આ મામલે ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર (DFO) એક્શનમાં આવ્યા છે. ભોપાલના ડીએફઓ પ્રકાશ ભારતીએ જણાવ્યું હતું કે, “બરખેડા સલામ ગામ પાસે એક ખેતરમાં એક કાળુ હરણ મૃત હાલતમાં મળી આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. શરીર પર ઈજાના નિશાન છે. હવે વિભાગ આ મામલે તપાસ કરશે.”
હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે આ કાળા હરણની હત્યાનો મામલો છે કે પછી પ્રાણીનું કુદરતી મૃત્યુ થયું છે. જોકે, ગરદન પાસે મળેલી ઈજા પરથી શંકા છે કે તેનું મોત શિકારીઓની ગોળીઓના કારણે થયું છે. મંગળવારે બપોરે વન વિભાગની ટીમ કાળા હરણના મૃતદેહને લઈને સરકારી પશુ દવાખાને પહોંચી હતી. કાળા હરણના શરીર પર ગરદન પાસે માત્ર એક જ ઘા છે અને શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન નથી. કાળા હરણના શરીર પર માત્ર એક જ નિશાન છે, જે ગોળીની ઈજા જેવું લાગે છે. જો કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવતા 3 દિવસનો સમય લાગશે, ત્યારબાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
શિકારીઓ કાળા હરણને લઈ જવામાં સફળ ન થયા
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 15-20 કલાક પહેલા કાળા હરણનું મોત થયું હતું. મતલબ કે સોમવારે રાતના અંધારામાં તેનું મૃત્યુ થયું હતું. હાલમાં રાત્રીના અંધારામાં શિકાર કરવા માટે તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વનવિભાગના સુત્રો માની રહ્યા છે. પરંતુ શિકારીઓ તેને લેવામાં સફળ રહ્યા ન હતા. પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગની ટીમ કાળા હરણના મૃતદેહને લઈને પરત ગઈ હતી અને હવે કાળા હરણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.