રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
રાજકોટમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો નોકરી કરવા માટે આવી રહ્યા હોય તેઓ જ્યાં નોકરી કરે છે, રહે છે તેની નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોવા છતાં અમુક લોકો તેનું પાલન કરી રહ્યા ન હોય પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે શહેરની વર્ષો જૂની સૂર્યકાંત હોટેલના માલિક સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.
SOG દ્વારા પરપ્રાંતિય લોકોના ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલમાં તપાસ કરવામાં આવતાં ત્યાં જયંતીલાલ મગનલાલ (ઉ.વ.18) કે જે વેઈટર તરીકે નોકરી કરતો હતો. જયંતીલાલ મુળ ઉદયપુર (રાજસ્થાન)નો રહેવાસી છે અને અહીં એક મહિનાથી 10,000 રૂપિયામાં નોકરી કરી રહ્યો હતો પરંતુ પોલીસ સમક્ષ તેની કોઈ જ નોંધણી કરવામાં આવી ન હોવાથી હોટેલના માલિક ભૂપતભાઈ રામસિંહ તલાટિયા સામે ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો : બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
આ ઉપરાંત SOG દ્વારા ગોંડલ રોડ પર લોધાવાડ ચોકથી આગળ શ્રીરામ ચાઈનીઝ એન્ડ પંજાબીમાં ચેકિંગ કરાતાં ત્યાં પણ એક કારીગરની નોંધણી કરાવાઈ ન હોવાથી રેસ્ટોરન્ટના માલિક જગદીશ જયંતીભાઈ બગડાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.