બહિષ્કારનું સૂરસૂરિયું ! રાજકોટ લોકમેળામાં રાઇડ્સ માટે 20 ફોર્મ ઉપડયા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં એસઓપીની કડક અમલવારી માટે જિલ્લા વહીવટીતંત્ર મક્કમ રહેતા રાઇડ્સના ધંધાર્થીઓ દ્વારા લોકમેળાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી એક પણ ધંધાર્થી ફોર્મ નહીં ઉપાડે તેવો દાવો કર્યો હતો ત્યારે છેલ્લા બે દિવસમાં લોકમેળામાં ધંધો કરવા માટે 32 ફોર્મ ઉપડયા હોવાનું અને 32 પૈકી 20 ફોર્મ તો રાઇડ્સ માટે જ ઉપડયા હોવાનું સામે આવતા રાઇડ્સ સંચાલકોના બહિષ્કારના દાવાનું સૂરસૂરિયું થયું હોવાનું સ્પષ્ટ બન્યું છે.

રેસકોર્સ મેદાન ખાતે 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા તા.9ને સોમવારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવતા પ્રથમ દિવસે 5 ફોર્મ ઉપડયા હતા. જયારે મંગળવારે તા.10ના રોજ કુલ 27 ફોર્મ ઉપડયા હતા.બે દિવસમાં લોકમેળા સમિતિ દ્વારા કુલ 32 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે જે પૈકી 20 ફોર્મ તો માત્ર રાઇડ્સ માટે જ ઉપડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, લોકમેળાનો વિરોધ કરવા મેદાને આવેલા રાઇડ્સ સંચાલકોએ ફોર્મ નહીં ઉપાડી મેળાનો બહિષ્કાર કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો પરંતુ ફોર્મ ઉપડતા હવે આગામી તા.25મીએ યાંત્રિક આઇટમોના પ્લોટની હરરાજી સમયે કેવો સિનારિયો રહે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : “મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો
નોંધનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર રાજ્ય સરકારે નક્કી કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં કોઈ જ બાંધછોડ કરવા નથી માંગતી ત્યારે આવનાર દિવસોમાં તંત્રને બાનમાં લેવા મથી રહેલા રાઇડ્સ સંચાલકો કેવો રવૈયો અપનાવે છે અને જિલ્લા વહીવટી તંત્ર લોકમેળામાં રાઇડસને લઈ શું નિર્ણય કરે છે તે તો આવનાર સમય જ બતાવશે.