13 દિવસમાં 300થી વધુ વિમાનોમાં બોમ્બની ધમકી આપનાર ઓળખાયો : જાણો કોણ છે આ શખ્સ
છેલ્લા ૧૩ દિવસમાં ૩૦૦થી વધુ વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે, નાગપુર પોલીસે મહારાષ્ટ્રના ગોંદિયાના 35 વર્ષીય યુવકની ઓળખ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બની ખોટી ધમકી પાછળ આ વ્યક્તિનો હાથ છે.
નાગપુર સિટી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે આ વ્યક્તિની ઓળખ જગદીશ ઉઇકે તરીકે કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તેની 2021માં એક કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. જગદીશ ઉઇકેએ ભૂતકાળમાં આતંકવાદ પર એક પુસ્તક પણ લખ્યું હતું. હાલમાં તે ફરાર છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) શ્વેતા ખેડકરની આગેવાની હેઠળની તપાસમાં ઉઇકેના ઈમેલ સંબંધિત માહિતી સામે આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ શખસે વડાપ્રધાન કાર્યાલય, રેલવે પ્રધાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ, એરલાઇન ઑફિસો, પોલીસ મહાનિર્દેશક અને રેલવે પ્રોટેક્શન ફોર્સ સહિત વિવિધ સરકારી સંસ્થાઓને ઈમેલ મોકલ્યા છે.
છેલ્લા 13 દિવસમાં ભારતીય એરલાઈન્સની 300થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. સરકારી એજન્સીઓએ અગાઉ કહ્યું હતું કે મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એકલા 22 ઓક્ટોબરે જ ઈન્ડિગો અને એર ઈન્ડિયાની 13 ફ્લાઈટ સહિત લગભગ 50 વિમાનોને બોમ્બની ધમકી મળી હતી.