સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયળ-માળા-પ્રસાદ પર પ્રતિબંધ ! ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય
ઓપરેશન સિંદુર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત પાકિસ્તાનના આ નાપાક ઈરાદાને નાકામયાબ કરી રહ્યું છે. ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં માળા, પ્રસાદ અને નારિયેળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ સૂચનાઓ અને સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મંદિર ટ્રસ્ટની જાહેરાત
સિદ્ધિવિનાયક મંદિર જે મુંબઈમાં સ્થિત છે અને લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ મંદિર આતંકીઓની હિટ લિસ્ટમાં હોય શકે છે ત્યારે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે મુંબઈના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ટ્રસ્ટે જાહેરાત કરી છે કે 11મેથી મંદિરની અંદર નાળિયેર અને માળાનો પ્રસાદ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
વહીવટીતંત્રનું કહેવું છે કે નારિયેળ કે પ્રસાદમાં વિસ્ફોટકો હોઈ શકે છે. મંદિરના ટ્રસ્ટી ભાસ્કર શેટ્ટીએ જણાવ્યું હતું કે પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને નારિયેળ અને અન્ય પ્રસાદ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપી હતી. શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના પ્રમુખ સદા સરવણકરે જણાવ્યું હતું કે મંદિરમાં દરરોજ હજારો લોકો આવે છે અને તે આતંકવાદીઓની “હિટ લિસ્ટ” પર છે. તાજેતરમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ટ્રસ્ટ સાથે એક બેઠક યોજી હતી અને આ નિર્ણય લેવાંમાં આવ્યો છે.
તેમણે કહ્યું, “સરકાર અને પોલીસ દ્વારા અમને ઘણી સલાહ આપવામાં આવી છે. સુરક્ષા પગલાં અંગે, તેમણે કહ્યું કે સુરક્ષા તપાસ દરમિયાન ભગવાન ગણેશને અર્પણ કરાયેલા નારિયેળની ઓળખ થઈ શકતી નથી અને આ ખતરનાક બની શકે છે. પ્રસાદમાં ઝેર હોઈ શકે છે. આને ટાળવા માટે, અમે થોડા સમય માટે ભગવાનને માળા અને નારિયેળ ચઢાવવાની મંજૂરી આપીશું નહીં.”
સ્વર્ણકરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટને ધ્યાનમાં રાખીને આ પગલું કામચલાઉ હતું. તેમણે કહ્યું કે ટ્રસ્ટે મંદિરની બહાર ફૂલ વિક્રેતાઓ સાથે વાત કરી, જેમણે 11 મેથી પહેલ શરૂ કરવા વિનંતી કરી જેથી તેઓ તેમનો હાલનો સ્ટોક પૂરો કરી શકે.