ફરી દેશમાં ક્યાં કયા ટ્રેનો ઉથલાવવા થયા પ્રયાસ ? જુઓ
દેશની ટ્રેનો પર હુમલા કરવા અને ઉથલાવી દેવાના ગંભીર પ્રયાસો વધી રહ્યા છે અને મુસાફર જનતા ભારે ચિંતિત થઈ છે. લોકોમાં ભય પેદા કરવાનો હીન પ્રયાસ સતત થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું.
સોલાપુર જિલ્લાના કુર્ડુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. લોકો પાયલટની સાવધાનીથી દુર્ઘટના ટળી ગઈ. આ મામલે રેલવેના સીનિયર સેક્શન એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કુર્ડુવાડી રેલવે સ્ટેશનથી લગભગ 700 મીટર પૂર્વ દિશામાં એક સિગ્નલ પોઈન્ટની પાસે રેલવે ટ્રેક પર દુર્ઘટનાના ઈરાદે સિમેન્ટનો એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ મામલે સીનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અજમેરમાં પણ ષડયંત્ર
આ પહેલા રાજસ્થાનના અજમેરમાં પણ ટ્રેનને ઉથલાવવાનું કાવતરું ઘડવાનો મામલો સામે આવ્યો હતો. અજમેરના સરધનામાં રવિવાર રાતે રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બે બ્લોક મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
રાહતની વાત એ રહી કે ટ્રેન સિમેન્ટ બ્લોકને તોડતી આગળ નીકળી ગઈ અને કોઈ મોટી દુર્ઘટના થઈ નહીં. આ અંગે કર્મચારીઓએ માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ મામલે પણ પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.