પાર્ટી પ્રમુખ પવન કલ્યાણની જાહેરાત, ટીડીપીને ટેકો
લોકસભા ચૂંટણી આવી રહી છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે ભાજપને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને જનસેનાના પ્રમુખ પવન કલ્યાણે આજે ભાજપના નેતૃત્વ વાળી એનડીએનો સાથ છોડવાનું અને ટીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું હતું . તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશને વિકાસ માટે જનસેના અને ટીડીપીની જરૂર છે.
પવન કલ્યાણે કહ્યું કે, ટીડીપી એક મજબૂત પાર્ટી છે અને આંધ્ર પ્રદેશને સુશાસન અને વિકાસ માટે તેલુગુ દેશમ પાર્ટીની જરૂર છે. આજે ટીડીપી સંઘર્ષ કરી રહી છે અને અમે તેના સાથે છીએ. આ સ્થિતિમાં ટીડીપીને જનસૈનિકોના યુવાનોની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, જો ટીડીપી અને જનસેના હાથ મિલાવી લેશે તો રાજ્યમાં વાઈએસઆરસીપીની સરકાર ડૂબી જશે.
નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ 14 સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજામુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે 18 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આયોજિત એનડીએની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં પવન કલ્યાણે કહ્યું હતું કે, તે ભાજપનું સમર્થન કરશે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ સારી રહી અને આ દરમિયાન આત્મનિર્ભર ભારત પર ચર્ચા કરવામાં આવી હતી. પોતાની પાર્ટી તરફથી મેં પીએમને વચન આપ્યું છે કે, અમે તેમની સાથે ઊભા છીએ.
પવન કલ્યાણે આંધ્ર પ્રદેશમાં તેમની પાર્ટી એનડીએ અને ટીડીપીને વાયએસઆરસીપી સરકાર સામે લડવા માટે એકસાથે ઊભા રહેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. પરંતુ હવે તેમણે NDA છોડવાનો નિર્ણય લઈ લીધો છે.