સામુહિક અંત્યેષ્ટીના મામલે મણીપુરમાં ફરી હિંસા: ગોળીબાર
ત્રણ માસથી હિંસામાં માર્યા ગયેલા 35 લોકોના મૃતદેહ સડે છે
કુકી સમુદાયના મૃતકોના શબની અંતિમ ક્રિયા ફરી અટકી: ગૃહમંત્રીને જાણ: હાઈકોર્ટે ‘યથાસ્થિતિ’ જાળવી રાખવા આદેશ કરતા વિવાદ વધ્યો
નવી દિલ્હી: છેલ્લા ત્રણ માસથી હિંસામાં સળગી રહેલા મણીપુરમાં આજે ફરી એક વખત વિષ્ણુપુર જીલ્લાના કોગવાઈ ફોઉગાકચાઓ સહિતના ક્ષેત્રમાં હિંસા ભડકી ઉઠી હતી અને સુરક્ષા દળો પર હુમલો થતા વળતો લાઠીચાર્જ અશ્રુવાયુ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો
જેમાં 17થી વધુ લોકો ઘાયલ થયા હતા તથા ઈમ્ફાલ ઘાટીના ક્ષેત્રમાં ફરી એક વખત કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. મણીપુર હાઈકોર્ટે ગઈકાલે વિવાદાસ્પદ સ્થળોએ યથાવત સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. અહી કુકી સમુદાયના 35 લોકો જે માર્યા ગયા હતા તેમની સામુહિક અંતિમક્રિયા થવાની હતી જે સ્થળ મુદે વિવાદ શરૂ થયો હતો. કુકી સમુદાયે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને એક પત્ર લખીને વિવાદમાં મધ્યસ્થીની માંગ કરી છે. છેલ્લા પાંચ દિવસથી આ તમામની અંતિયેષ્ટી થઈ શકી નથી
અને ફરી એક વખત તે સ્થગીત કરવામાં આવી છે. પરંતુ આજે આ મૃતકોના સંબંધીઓએ અંતિયેષ્ટી માટે જે તે સ્થળે પહોચતા જ અથડામણ શરુ થઈ હતી. આ મૃતદેહો ત્રણ માસથી શબઘરમાં પડયા હતા અને તેને અંતિયેષ્ટી સ્થળે લઈ જવાયા હતા પણ ફરી તે મુલત્વી રહી છે. બાદમાં તોફાને ચડેલા કુકી સમુદાયના લોકો ને વિખેરવા માટે ગોળીબાર કરવો પડયો હતો.