કરણપરામાં વેપારીના ઘરમાંથી રૂ.16 લાખની ચોરી
ઘરમાં ઉધઈ મારવાની દવા છાંટી હોવાથી પાડોશમાં રહેતા કૌટુંબિના ઘરે રોકવા ગયા ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો : બાચકાંમાં ભરી રાખેલું 15 લાખનું સોનું અને 1 લાખ રોકડ ઉપાડી ગયા
પેટા : પેસ્ટ કંટ્રોલ કરવા આવેલા બંને શખ્સોનો ચોરીમાં હાથ હોવાની પોલીસને પ્રબળ શંકા : ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ
રાજકોટમાં તસ્કરોને જાણે રેઢું પટ મળ્યું હોઇ તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં કરણપરામાં શેરી નંબર-13/14 ના ખૂણે રહેતા અને સાંગણવા ચોકમાં ઇલેક્ટ્રીકની દુકાન ધરાવતા વેપારીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને 15 લાખના સોના-ચાંદીના દાગીના અને 1 લાખ જેટલી રોકડની ચોરી કરી જતાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી,એ ડિવિઝન પોલીસના પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યારે તપાસમાં બાહર આવ્યું હતું કે,વેપારી પોતાના ઘરમાં ઉધઈ મારવાની દવા લગાવી હોવાથી તેઓ પાડોશમાં રહેતા કૌટુંબિના ઘરે રહેવા ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ કરણપરા શેરી નં.૧૩-૧૪ના કોર્નર પર સિધ્ધાર્થ નામનું મકાન ધરાવતા કેકીનભાઈ દિલીપભાઈ શાહએ જણાવ્યું હતું કે,તેઓ સાંગણવા ચોક નજીક ઇલેક્ટ્રીક આઈટમોની દુકાન ધરાવે છે. કેકીનભાઈના ઘરમાં ઉધઈ થઈ ગઈ હોવાથી ગત શનિવારના રોજ બપોરના સમયે ઉધઈ પેસ્ટીંગવાળા મારફતે દવા છંટકાવ કરાવ્યો હતો. ઘરમાં વાસ આવતી હોવાથી નજીકમાં રહેતા કૌટુંબિના ઘરે કેકીનભાઈ અને તેના પત્ની, બાળકો બે દિવસ માટે ગયા હતા. રવિવારના રોજ તેમજ ગઇકાલે સોમવારે પણ શાહ પરિવાર દ્વારા ઘરની મુલાકાત લેવાઈ હતી. જ્યારે તેઓ આજે સવારે ઘરે આવતા દરવાજાના તાળા તુટેલા જોવા મળ્યા હતા. જેથી ચોરી થયાની શંકા ઉપજી હતી અને તુર્ત જ ઉપલા માળે રૂમ ચેક કરવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા કબાટના તાળા તુટેલા હતા. ડ્રોઅર, તિજોરી પણ તુટેલી હતી. સામાન વેરવિખેર પડયો હતો.અને કબાટમાં રહેલા સોના-ચાંદીના અલગ અલગ ઘરેણાઓ અને રોકડ રકમ પણ ગાયબ જણાતા તેઓએ પોલીસનો સંપર્ક કરતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટ ટીમ સાથે દોડી આવ્યા હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી બી.બી.બસીયા સહિતની ટીમ પણ દોડી આવી હતી.
અને મકાન માલિકની પૂછતાછ કરતાં કુલ રૂ.16 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.પેસ્ટ કંટ્રોલ એટલે કે ઉધઈ મારવા માટે જેમને બોલાવ્યા હતા. તેઓનો આ ચોરીમાં હાથ હોવાની પોલીસને પ્રબળ શંકા હોવાથી તેઓને ઉપાડી લેવામાં આવ્યા છે. અને તેની આગવી ઢબે પૂછતાછ કરવામાં આવી રહી છે. વધુમાં પોલીસની ડોગ સ્ક્વોડ ટીમને તસ્કરો પેલેસ રોડ પર ભાગ્ય હોવાની માહિતી મળતા પોલીસે તે દિશાના સીસીટીવી ફૂટેજો તપાસવાનું શરૂ કર્યું છે.
રોકડમાંથી તસ્કરો ખરાબ 10-10ની નોટના બે બંડલ ઘરના દરવાજે જ ફેકતા ગયા
કરણપરા શેરી નં.૧૩-૧૪ના કોર્નર પર રહેતા વેપારીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને 15 લાખના સોના-ચાંદીના ઘરેણાં અને આશરે 1 લાખ જેટલી રોકડની ચોરી કરી ગયા હતા. જ્યારે તસ્કરો રોકડમાં રહેલા 10-10ની ખરાબ નોટના બે બંડલોને ઘરના દરવાજે જ ફેકીને ચાલ્યા ગયા હતા.અને વેપારી ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પ્રથમ ઘરના દરવાજે આ નોટના બંડલ મળી આવ્યા હતા.