‘મારે શિવજીને પ્રસન્ન કરવા છે’ કહી કોન્ટ્રાક્ટરે ગોંડલના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં કર્યો કમળપૂજાનો પ્રયાસ
ગોંડલના ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આધેડે ગળા પર છરી ફેરવી લેતા લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા : મુંબઈમાં કોન્ટ્રાક્ટરનું કામ કરતાં હતા અને બે માસ પૂર્વે જ ગોંડલ આવ્યા’તા
ગોંડલમાં એક આધેડે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં જઈ શિવજીને પ્રસન્ન કરવા પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અને તબીબોએ તેઓની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે.
વિગત મુજબ ગોંડલમાં જેતપુર રોડ પર આસોપાલવા સોસાયટી શેરી નં. ૧માં રહેતાં ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.47) નામના આધેડે સવારે અગિયારેક વાગ્યે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા શ્રી ચંદ્રમૌલેશ્વર મંદિરે હતાં ત્યારે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજાની કોશીષ કરતાં ગંભીર હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાં બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે તેઓના નાનાભાઈએ જણાવ્યું હતું કે,ધર્મેન્દ્રસિંહ શીવજીના ભક્ત છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે ભાઈમાં મોટા છે, તેઓ મુંબઈ ખાતે કોન્ટ્રાક્ટ રાખી જમીન મકાનનું કામ કરે છે. બે મહિનાથી રજા પર અહી ઘરે આવ્યા છે.હાલ તેઓએ શિવજીને પ્રસન્ન કમળપૂજાનો પ્રયાસ કર્યાનું માલૂમ પડ્યું હતું.પરંતુ આ મામલે વધુ તપાસ ગોંડલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.