- જે.કે.ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ લાગતા 10 મજૂરોએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી
- એકઝોસ્ટ ફેનમાં લાગેલી આગ મિનિટોમાં વિકરાળ બનતા ફાયરની ટીમે દોડી આવી કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર રાજકોટના TRP અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકો જીવતા ભૂંજાયા હતા.અને આ અગ્નિકાંડ ઘણા અધિકારીઓને પણ દઝાડી ગયો હતો. ત્યારે હજુ સુધી પણ આ ઘટનાના ભણકારા વાગી રહ્યા છે.તો ગઇકાલે પેડક રોડ પર TRP કાંડ થતાં સહેજમાં અટક્યો હતો. જેમાં પેડક રોડ પર ચાર માળની બિલ્ડિંગમાં આવેલા જે.કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનાના એકઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી.અને થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ લીધો હતો. તો બીજી બાજુ કારખાના અંદર રહેલા 10 જેટલા મજૂરોએ પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી ત્રીજા માળ પર છલાંગ લગાવી હતી.બાદમાં ફાયરની ટીમ આવી જતાં તેમને આગ બુઝાવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ, ગઇકાલ સવારે 10.20 વાગ્યા આસપાસ પેડક રોડ પર જે. કે. ક્રિએશન નામના ચાંદીના કારખાનામાં આગ ભભૂકી હોવાની જાણકારી મળતા બેડી પરા ફાયર સ્ટેશનથી એસ.ટી.ઓ રહીમભાઈ, સંજયભાઈ, ફાયર જવાન ધર્મેન્દ્રસિંહ, શૈલેષભાઈ સહિતના દોડી ગયા હતા. આ બિલ્ડીંગ ચાર માળનું હતું.જેમાં વચ્ચેના બે માળ પર રહેણાક ફ્લેટ હતા. જ્યારે પહેલા અને ચોથા માળે ચાંદી ઓગાળવાની ભઠ્ઠી એટલે કે ચાંદીનું કારખાનું આવેલ હતું. અહીં એકઝોસ્ટ ફેનમાં આગ લાગી હતી.જેને થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ લીધું હતું.જેથી ચોથા માળે રહેલા 10 જેટલા મજૂરોએ છલાંગ લગાવી તેમજ ત્યાં રહેલી સીડી મારફત પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ફાયરની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.બનાવ વખતે ચાંદીના કારખાનાના માલિક જયેશભાઇ બાબુભાઈ કોરાટ અને તેમનો મેનેજર હાજર હતા. આ ઉપરાંત બી.ડિવિઝન પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમ પણ દોડી આવી હતી.
બિલ્ડિંગ પાસે ફાયર NOC જ ન હતી
ચાંદીના કારખાનામાં આગ લાગ્યાની જાણ થતાં બેડીપરા તેમજ ભાવનગર રોડ ફાયર સ્ટેશનેથી ફાયર ફાઈટરો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું,કે ચાર માળના આ બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી જ નથી જેથી આ મામલે હવે ફાયરબ્રિગેડ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે.જેથી માલિકે ફાયર એનઓસી માટે કોઈ કાર્યવાહી કરી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવવાની છે.
ચાર માળના બિલ્ડિંગમાં બે માળે કારખાનાનું અને બે માળે રહેણાંક
પેડક રોડ પર આવેલા આ ચાર માળના બિલ્ડીંગમાં પહેલા અને ચોથા માળે ચાંદી કામ ચાલતું હતું જ્યારે અન્ય બે માળ રહેણાંક છે.આગ લાગવાના કારણે ચોથા અને બીજા માળે ચાંદી કામ કરતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓએ જીવ બચાવવા માટે અગાસી ઉપરથી છલાંગ લગાવી હતી.
