ઘટનાને અંજામ આપ્યા બાદ ક્યાં ક્યાં આશરો મેળવ્યો, શા માટે આટલો ગુસ્સો આવી ગયો તે સહિતના મુદ્દે રિમાન્ડ મંગાયા: રાજકોટના પોલીસ બેડામાં સોપો
આંબેડકરનગરમાં રહેતાં હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડને માર માર્યા બાદ મૃત્યુ નિપજ્યાના કિસ્સામાં પોલીસે માલવિયાનગર મથકના એએસઆઈ અશ્વિન કાનગડ સામે હત્યાની કલમો સહિત ગુનો નોંધ્યા બાદ ફરાર રહેલા કાનગડ અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા બાદ કાનગડને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બે દિવસના જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આંબેડકરનગરમાં રહેતો હમીર ઉર્ફે ગોપાલ રાઠોડે પારકા ઝઘડામાં વચ્ચે પડીને પોલીસને બેફામ ગાળો ભાંડતાં એએસઆઈ કાનગડ તેની અટકાયત કરીને પોલીસ મથકે લાવ્યા હતા. આ પછી પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે હમીર ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જે રાત્રે જ તેનું મૃત્યુ નિપજતાં પોલીસના મારથી જ હમીરનું મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. આ પછી પોલીસે તપાસ કરતાં એવો ખુલાસો થયો હતો કે એએસઆઈ કાનગડ દ્વારા માર મારવામાં આવતાં હમીરનું મોત નિપજ્યું છે જેથી પોલીસે કાનગડ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી હતી પરંતુ તે ઘટના બન્યાના છ દિવસથી ફરાર હોય હાથમાં આવી રહ્યા ન્હોતા.
દરમિયાન કાનગડ અચાનક જ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ જતાં તેની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ કાનગડે ક્યાં ક્યાં આશરો મેળવ્યો, શા માટે તેણે કાયદાની બહાર જઈને યુવકને આટલો માર માર્યો તે સહિતના મુદ્દે ચાર દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે બે દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.