અલીગઢ : ચોરીની શંકા પરથી ટોળાએ મુસ્લિમ યુવાનને મારી નાખતા ભારે તંગદિલી ફેલાઈ
અલીગઢમાં ચોરીની શંકા પરથી એક ટોળાએ એક મુસ્લિમ યુવાનને મારી નાખતા ભારે તંગદિલી ફેલાઈ છે.આ ઘટના બારામાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરતાં ભાજપે વિરોધ પ્રદર્શન કરી તમામ આરોપીઓને છોડી મૂકવા માંગણી કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ એક હોટેલમાં રોટલી બનાવવાનું કામ કરતો 35 વર્ષનો મોહમ્મદ ફરીદ રાત્રે 10.15 વાગ્યે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મામુ ભાણેજ વિસ્તારમાં એક ટોળાએ તેને રોકી તેના પર ચોરિં આળ મૂક્યું હતું.તેના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મોહમદ્દે પોતે મુસ્લિમ હોવાનું જણાવ્યા બાદ ટોળાએ તેને લાકડીઓ,હોકી સ્ટિક અને લોખંડના પાઇપ વડે બેફામ માર મારતાં મોહમ્મદનું મૃત્યુ થયું હતું.આ ઘટનાના વિડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી.
પોલીસે આ ઘટના અંગે છ હિન્દુ યુવાનોની ધરપકડ કર્યા બાદ ભાજપ અને બજરંગદળના કાર્યકરો રસ્તા ઉપર આવી ગયા હતા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.ભાજપના ધારાસભ્ય મુકતા રાજાએ આરોપીઓનો બચાવ કરતા જણાવ્યું કે ગઈ કાલે આ વિસ્તારમાં એક લૂંટારૂ આવ્યો હતો અને એવું બને ત્યારે લોકો પકડીને માર મારે એ રીતે ટોળાએ તેને થોડો માર માર્યો હતો.બાદમાં આ વિસ્તારમાંથી ચાલ્યા ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું.તેનું શું થયું તે એમને ખબર નથી. તેમણે પોલીસે નિર્દોષ યુવાનોને પકડ્યા હોવાનો આક્ષેપ કરી તે કોઈની સામે પગલાં ન લેવા અનુરોધ કર્યો હતો.