વ્યાજખોરીના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર
પોલીસે અરજીના નામે આરોપી પર દબાણ કરી પોતાની લેણી રકમ જતી કરવાનુ કહ્યુ અને ખોટી રીતે ગુનો નોંધ્યો : વકીલ સુરેશ ફળદુ
તપાસ અધિકારી પીએસઆઇ વી.એન.બોદરને કોર્ટે આડેહાથ લઈ કાયદા મુજબની કાર્યવાહી કરવા ટકોર કરી
શહેરમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદીએ રૂ.૩ કરોડથી પણ વધુની રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરીને ધમકી આપતા ગુનો નોંધાયો હતો.જે કેસમા આરોપી પિયુષ ફળદુએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા તેના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસે આરોપી પર દબાણ કરીને તેની લેણી રકમ જતી કરવાનું કહી ખોટી રીતે ગુનો નોંધ્યો છે. અદાલતે તપાસ અધિકારી પીએસઆઇ વી.એન.બોદરને કાયદાકીય રીતે કાર્યવાહી કરવા ટકોર કરી આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી.
કેસની હકીકત મુજબ, રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક આવેલા સન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી શ્યામ દિનેશભાઈ ભુત દ્વારા આરોપી દીપક ટીલવા,પીયુષ ફળદુ, ભરત જાગાણી, અનિરુદ્ધ જાડેજા, રાજદીપસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને વર્ષ ૨૦૧૬-૨૦૨૧ દરમિયાન ધાંધ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં ૧.૬૭ કરોડ વ્યાજે લીધા હતા.જે રકમનું વ્યાજ તેમજ મુદ્દલ સહિત રૂ.૩.૮૧ કરોડ ચૂકવી દીધા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી દેતા પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ કેસમાં સંડોવાયેલા આરોપી પિયુષ ફળદુએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
આ અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી.કે, આ અંગે બે વર્ષ પેહલા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.તેમ છતાં બે વર્ષ બાદ ફરિયાદીએ બીજા પોલીસ મથકમાં અરજી કરતા તપાસ અધિકારીએ આરોપી પર દબાણ લઈ લેણું જતું કરવા કહી ખોટી રીતે ગુનો નોંધ્યો છે.આરોપીએ ફરિયાદીને રૂ.૨૮ લાખ બેંકના માધ્યમથી આપેલા તેના પર ક્યારેય વ્યાજ લીધું હોય તેવા પુરવા નથી. બંને પક્ષોની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને અદાલતે આ કેસના તપાસ અધિકારી પી.એસ.આઇ. વી.એન. બોદરને છેલ્લો ચાન્સ આપી કાયદા મુજબની કાર્યવાહી કરવા ટકોર કરી હતી.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભૂવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી , મંથન વીરડિયા,જય પિઠવા, તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોટક, ભાવિન ખુટ, જસ્મીન દુધાગરા,અભય સભાયા રોકાયલ હતા