સેન્સેક્સ 82000ને પાર થશે, એક વર્ષમાં મળી શકે છે 14 ટકા વળતર : મૂડીઝ
મોદી સરકાર પાંચ વર્ષમાં સ્થિરતા ઉપરાંત નીતિગત નિર્ણયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી માર્કેટને આશા
રેટિંગ એજન્સી મૂડીઝે એવો દાવો કર્યો છે કે, ભારતીય શેરબજારમાં રોકાણકારોને એક વર્ષમાં ૧૪ ટકા જેટલું વળતર મળી શકે છે. આ એક વર્ષમાં બી.એસ.ઈ.નો સેન્સેક્સ ૮૨ હજારને પાર પણ થઈ શકે છે. અત્યારે સેન્સેક્સ ૭૭૦૦૦ની આસપાસ છે પણ જો મૂડીઝની ધારણા પ્રમાણે જોઈએ તો આ સ્થિતિમાં ભારતનું શેરબજાર સૌથી મજબુત શેરબજાર બનશે.
મૂડીઝના અહેવાલ અનુસાર, ભારતીય શેરબજાર સતત નવી નવી ઊંચાઈ પ્રાપ્ત કરતુ રહે છે. હવે જોવાનું એ રહે છેકે, બજારને ભૌતિક રીતે કેવી રીતે ઉપર લાવી શકાય છે. નવી સરકારમાં કેટલાંક નીતિગત ફેરફાર થવાની સંભાવના છે અને આ ફેરફારોથી બજારમાં આશ્ચર્ય ઉભું થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આ ત્રીજા કાર્યકાળમાં આ દાયકો ભારતનો દાયકો હશે.
આ અહેવાલ અનુસાર, ભાજપના નેતૃત્વમાં એન.ડી.એ. ફરીથી સત્તા ઉપર આવ્યુ છે અને તેને લીધે માર્કેટ એવી ધારણા રાખી રહી છે કે, નીતિગત નિર્ણયો જળવાયેલા રહેશે. મોદી સરકારના આ નિર્ણયો આવનારા પાંચ વર્ષ માટે વિકાસ અને ઇક્વિટીના રીટર્નને પ્રભાવિત કરશે. સરકાર આ પાંચ વર્ષમાં સ્થિરતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે તેવું લાગી રહ્યુ છે.
મૂડીઝે તાજેતરમાં જ ૨૦૨૪-૨૫ માટે જી.ડી.પી.ના વિકાસના દરનું અનુમાન ૬.૮ તકર કરી નાખ્યુ હતું.
BSEમાં લીસ્ટેડ પાંચ કંપનીની મૂડીમાં તોતિંગ વધારો
બી.એસ.ઈ. માં ટોપ-૧૦ લીસ્ટેડ કંપનીઓમાંથી પાંચ કંપનીના માર્કેટ કેપમાં તોતિંગ વધારો થયો છે. પાછલા અઠવાડિયે આ પાંચ કંપનીઓનું માર્કેટ કેપ ૮૫,૫૮૨.૨૧ કરોડ વધ્યુ હતુ.
પાછલા અઠવાડિયામાં જાહેર ક્ષેત્રની કંપની ભારતીય જીવન વીમા નિગમ- એલ. આઈ.સી.ને સૌથી વધુ ફાયદો થયો હતો. આ સિવાય રિલાયન્સ, એચ.ડી.એફ.સી. બેંક, ભારતી એરટેલ અને એસ.બી.આઈ.ને પણ ફાયદો થયો છે. બીજી બાજુ ટી.સી.એસ, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક, ઈન્ફોસીસ, હિન્દુસ્તાન યુનીલીવર અને આઈ.ટીસી.ની મૂડીમાં ઘટાડો પણ નોંધાયો હતો.