વિદેશી રોકાણકારોએ શેર બજારમાં કેટલા નાણાં ઠાલવ્યા ? વાંચો
દેશની શેર બજાર પર વિદેશી રોકાણકારો આફરીન છે અને સતત રોકાણમાં વધારો કરી રહ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જુલાઈના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારોમાં રૂ. 15,352 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. રોકાણનો અવિરત પ્રવાહ વહેતો મુકાઇ રહ્યો છે.
સુધારા ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતા અને મજબૂત સ્થાનિક માંગને કારણે ભારતીય બજારમાં ના પ્રવાહમાં વધારો થયો છે. આ બારામાં નિષ્ણાતોએ પણ પહેલા આગાહી કરી હતી કે વિદેશી રોકાણકારો વધુ નાણાં ઠાલવશે. એમના વિશ્વાસમાં સતત વધારો થઈ રહ્યો છે.
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના ડાયરેક્ટર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આગામી સામાન્ય બજેટ વિદેશી રોકાણકારો માટે આર્થિક વૃદ્ધિ માટેની સરકારની યોજનાઓને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ બની રહેશે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ચાલુ મહિને અત્યાર સુધીમાં (12 જુલાઈ સુધી) શેર્સમાં ચોખ્ખી રૂ. 15,352 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ જૂનમાં તેણે શેર્સમાં રૂ. 26,565 કરોડનું રોકાણ કર્યું હતું.
સામાન્ય ચૂંટણીઓ અંગેની મૂંઝવણ વચ્ચે એફપીઆઈએ મે મહિનામાં શેરમાંથી રૂ. 25,586 કરોડ પાછા ખેંચી લીધા હતા. મોરેશિયસ સાથે ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતા વચ્ચે એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી વધુનું વેચાણ કર્યું હતું.
શેર્સ ઉપરાંત, એફપીઆઈએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં રૂ. 8,484 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે બોન્ડ માર્કેટમાં તેમનું રોકાણ આ વર્ષે અત્યાર સુધીમાં રૂ. 77,109 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો 2024માં દર મહિને શેરબજારમાં ચોખ્ખા ખરીદદાર રહ્યા છે, ત્યારે એફપઈઆઇન પ્રવાહમાં વધઘટ જોવા મળી છે.
એફપીઆઈએ જાન્યુઆરી, એપ્રિલ અને મે મહિનામાં કુલ રૂ. 60,000 કરોડના શેર વેચ્યા છે. જ્યારે ફેબ્રુઆરી, માર્ચ અને જૂનમાં તેણે રૂ. 63,200 કરોડની ખરીદી કરી છે. દરેક સપ્તાહે હવે વિદેશી રોકાણની સંખ્યા અને માત્રા વધી રહ્યા છે.