મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ: વર્કિંગ વિમેન હોસ્ટેલ, ભાદર લાઇનનું શિફ્ટિંગ, ફાયર સ્ટેશન, લાયબ્રેરીનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં આવી પહોચ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂ.522.50 કરોડના 49 કામોના ખાતમુહૂર્ત અને રૂ. 22.57 કરોડના 06 કામોના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ નિર્મિત 700થી વધુ આવાસો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો હતો.

જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું : મુખ્યમંત્રી
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સૌને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અગાઉ માત્ર વિકાસની ચૂંટણી સમયે વાતો થતી, પરંતુ અત્યારે રોજેરોજ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. “જે બોલ્યા એ કર્યું, એને જમીન પર ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું” એવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોમાં કેળવ્યો છે. જેના ખાતમુહૂર્ત થાય છે એના લોકાર્પણ આ જ સરકાર કરે છે એવી કાર્યપદ્ધતિ નરેન્દ્રભાઈએ વિકસાવી છે.

રાજકોટમાં અગાઉ ટ્રેનથી પાણી આવતું : ભૂપેન્દ્ર પટેલ
રાજકોટમાં ભૂતકાળમાં પાણીના સંકટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ અહીં ટ્રેનથી પાણી આવતું, પણ આજે રાજકોટમાં પાણીની વિતરણ વ્યવસ્થા અને સ્થિતિ રોજેરોજ સુધરતી જાય છે. આજે લોકાર્પિત-ખાતમુહૂર્ત થયેલા કામોમાં સૌથી વધુ કામો પાણીને લગતા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજકોટના કરેલા અભૂતપૂર્વ વિકાસની ઝાંખી અંગે રેસકોર્સ ખાતેની આર્ટ ગેલેરીમાં યોજાયેલા પ્રદર્શનને નિહાળવાની તેમણે સૌને અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, વર્ષ 2000 પહેલા રાજકોટ કેવું હતું, આજે કેવું છે અને ભવિષ્યમાં રાજકોટના વિકાસની દિશા કેવી હશે તે આ પ્રદર્શનમાં જોવા મળે છે.

કયા કયા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું?
- વોર્ડ નં.માં અટલ સ્માર્ટ સિટી એરિયામાં 44.28 કરોડના ખર્ચે વર્કિંગ વિમેન હોસ્ટેલ
- ભાદર ડેમથી ગોંડલ નેશનલ હાઈ-વે પર 148.82 કરોડના ખર્ચે 43.11 કિ.મી.ની નવી પાઈપ લાઈન
- – માધાપર વિસ્તારમાં 31.75 કરોડના ખર્ચે 24.19 એમ.એલ.નો જીએસઆર, 3 એમ.એલ.નો ઈએસઆર પમ્પીંગ સ્ટેશન
- .150 ફૂટ રિંગરોડ-2 (કટારિયા ચોક-કાલાવડ રોડ-કણકોટ ચોક)નું રૂા.31.5 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ
- વોર્ડ નં.11માં મવડી સ્મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્સ બિલ્ડિંગ પાસે કોમ્યુનિટી હોલ
- વોર્ડ નં.૬માં ભાવનગર રોડપર બેડીપરા ફાયર સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ
- ન્યાર-1 ડેમ પર 150 એમએલડીનો ઈન્ટેક વેલ
- વોર્ડ નં.12માં તપન હાઈટસ પાસે નવું ફાયર સ્ટેશન
- ન્યારા હેડ વર્કસ ખાતે 34.27 એમ.એલ.નો નવો જીએસઆર
- વોર્ડ નં.11માં નવી લાયબ્રેરી
- જામનગર રોડ પર સફાઈ કામદાર માટે નવો કોમ્યુનિટી હોલ
- રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું નવિનીકરણ
- મુંજકા હેડવર્કસ ખાતે 10.5 એમ.એલ.ની ક્ષમતાનો જીએસઆર
શહેરી વિકાસ વિભાગનું બજેટ 40 ટકા વધારીને રૂ. 30 હજાર કરોડ કરવામાં આવ્યું

શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ 40 ટકા વધારીને રૂ. 30 હજાર કરોડ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની આવાસ યોજનાઓમાં બનતા સુવિધાજનક સરકારી મકાનો ખાનગી બાંધકામને ટક્કર મારે તેવા હોવાનું પણ તેમણે ઉમેર્યો હતું. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે સ્વદેશી અપનાવવાનો આગ્રહ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વર્ષ-2025 કોફીટેબલ બુકનું વિમોચન કર્યું તેમજ QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમ લોન્ચ કરી હતી.
જીતુભાઈ વાઘાણીએ રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની, મેન્યુફેક્ચરિંગ હબ ગણાવ્યું
રાજકોટના પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હસ્તે આજે શુભારંભ થયેલા વિવિધ વિકાસ કામો દર્શાવે છે કે વિકાસની યોજનાઓ અને સુવિધાઓ હવે સંતૃપ્તિના સ્તરે (સેચ્યુરેશન લેવલ) પહોંચી ગઈ છે, જે રાજ્યના અભૂતપૂર્વ વિકાસની નિશાની છે.

વાઘાણીએ રાજકોટને સૌરાષ્ટ્રની રાજધાની, મેન્યુફેક્ચરિંગ હબ, એન્જિનિયરિંગ હબ અને ખાસ કરીને મગફળીના કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. ખેડૂતલક્ષી નીતિઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ તેમજ રૂ. 15,000 કરોડની ખરીદી જાહેર કરી હતી. ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં 23,343 લાભાર્થીઓ પાસેથી 5459 ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે અને ખેડૂતોના ખાતામાં 50 ટકા જેટલાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગી માટે પણ રૂ. 1500 પ્રતિ હેક્ટરની ખરીદીની શરૂઆત થવાની છે, જે ખેડૂતોના જીવનમાં નવો ઉદય લાવશે. તેમણે સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલી સૌની યોજનાનું મહત્ત્વ જણાવતાં મેરી હતો કે આ યોજનાના કારણે સૌરાષ્ટ્રની સૂકી ધરા પર નર્મદાના પાણી પહોંચ્યા છે અને પાણીની સમસ્યાઓ દૂર થઈ છે.
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયાએ શહેરમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોની ઝાંખી આપી હતી. આ સાથે કહ્યું હતું કે, વિવિધ વિકાસકાર્યોની શહેરીજનોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો થયો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થઈ રહેલા વિકાસકાર્યો તેમજ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મતી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા મતી લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, અગ્રણીઓ સર્વ ડૉ. માધવ દવે, ડૉ.ભરતભાઈ બોઘરા, અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીએ ડૉ. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા” પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. ઉપરાંત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યકમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
