3300 લોકોની ક્રૂર હત્યા બદલ 98 વર્ષના નાઝી હત્યારા સામે કેસ ચાલશે
જર્મનીમાં હિટલરના શાસન દરમિયાન 1943 થી 1945 વચ્ચે બર્લિન નજીકના સામસેનહાઉસેન કોન્સટ્રેશન કેમ્પમાં 3300 કેદીઓની હત્યામાં મદદકારી કરવાના ગુનાબદલ 47 વર્ષના એક નાઝી ગાર્ડ સામે મુકદ્દમો ચલાવવામાં આવશે. ફ્રેન્કફર્ટની મેઇનઝીંગ કાઉન્ટીમાં રહેતો આ શખ્સ કેસની કાર્યવાહી સહન કરી શકે તેવી શારીરિક સજ્જતા ધરાવતો હોવાનું તબીબો એ પ્રમાણપત્ર આપ્યા બાદ તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
બર્લિન ની નજીક આવેલા આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં બે લાખ કરતા વધારે કેદીઓને રાખવામાં આવ્યા હતા તેમાંથી એક લાખ કરતા વધુ લોકો ભૂખમરો, બીમારી, તેમજ સુનિયોજિત હત્યાનો ભોગ બની મારી આ ગયા હતા.આ હત્યાઓમાં મદદગારી કરનાર આ વૃદ્ધનો 78 વર્ષ બાદ પાપનો ઘડો છલકાયો છે.
અમાનુષી અત્યાચારો અને સાડા સાત દાયકા સુધી ન્યાય માટે પીડીતો નો જંગ
જર્મની માં નેવું વર્ષની વય વટાવી ગયેલા નાઝી હત્યારાઓ સામે કેસ ચાલ્યા હોય અને સજા ફટકારવામાં આવી હોય એવી આ પ્રથમ ઘટના નથી. હિટલરના શાસન દરમિયાન યહૂદીઓ ઉપર થયેલા અત્યાચારો ધ્રુજાવી દે તેવા છે.હિટલરનું એ શાસન,એ કોન્સન્ટ્રેસન કેમ્પસ અને એ ક્રૂરતા માનવ ઇતિહાસનો સૌથી વધુ ઘૃણાસ્પદ અને કલંકિત કાળખાંડ હતો. 60 લાખ નિર્દોષ લોકોની કત્લેઆમ કરવામા આવી હતી. 1941 અને 42 એ બે વર્ષમાં જ 13 લાખ યહૂદીઓને ગોળીએ દેવાયા હતા. ગેસ ચેમ્બર્સમાં કેદીઓને નિર્વસ્ત્ર કરીને મોકલાતા. માનવ ગરીમાંનું આવું અપમાન કરીને હત્યારાઓ રાક્ષસી આનંદ મેળવતા. ટ્રકો અને ટ્રેનોમાં મૃતદેહો ભરી ભરી ને કેમ્પ બાજુના મેદાનોમાં ઊંડા ખાડા કરી ફેંકી દેવામાં આવતા. ગર્ભવતી મહિલા કેદીઓના નવજાત શિશુઓને માતાથી અલગ કરી જુદા રૂમમાં પુરી ઉંદરોને હવાલે કરી દેવાતા. કેદીઓને ભોજનમાં બ્રેડનો એક ટુકડો અને પાણી જેવું સૂપ આપવામાં આવતું અને તેમની પાસે બાર બાર કલાક મજૂરી કરાવવામાં આવતી. કામ કરવાની શક્તિ ગુમાવી ચૂકેલા અને બીમાર કેદીઓને ગેસ ચેમ્બર ભેગા કરી દેવાતા.
1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને હિટલર યુગનો અંત આવ્યો તે પછી તૂર્તના ગાળામાં સેંકડો ગાર્ડ અને કોન્સન્ટ્રેસન કેમ્પમાં આ અત્યાચારોમાં સાથ આપનારાઓને પકડી પકડીને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. પણ તે પછી પણ અસંખ્ય હત્યારાઓ જર્મની છોડી ઇમિગ્રન્ટના નામે યુરોપના કેટલાક દેશો તથા અમેરિકામાં પોતાની સાચી ઓળખ છુપાવીને સ્થાયી થઈ ગયા હતા.
આવા અમાનુષી અત્યાચારો ગુજારનાર નરાધમોને શોધી શોધીને સજા કરાવવા માટે આ રાષ્ટ્રો અને ખાસ કરી અમેરિકા અને ઇઝરાયેલે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. એ માટે ઇમિગ્રેશન અને જસ્ટિસ વિભાગોમાં ખાસ સેલ ઉભા કરાયા હતા. 2001 થી 2018 વચ્ચે યુરોપના દેશો અને અમેરિકામાંથી 105 નાઝી અપરાધિઓને જર્મની ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પણ મુશ્કેલી એ હતી કે સમયના વહેણ સાથે પીડિતો અને સંભવિત આરોપીઓ બધા વૃદ્ધ થતા ગયા હતા. કેટલાય લોકોના મૃત્યુ થઈ ગયા હતા. અને હવે જે બચ્યા છે તે બધા 90 વર્ષ ઉપરના છે.પણ આ અત્યાચારોના ભોગ બનેલા એ મુઠ્ઠીભર હયાત પીડિતો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે.
96 અને 101 વર્ષના આરોપીઓનો 75 વર્ષ બાદ પાપનો ઘડો છલકાયો
આ જ કેમ્પમાં એ જ સમયગાળા દરમિયાન ફરજ બજાવનાર 101 વર્ષની વયના નાઝી ગાર્ડ સામે પણ 2021માં ખાટલો ચલાવવામાં આવ્યો હતો. 1936માં આ કેમ્પ બનાવવામાં આવ્યો ત્યારથી 1945 સુધીમાં તેમાં બે લાખ જેટલા કેદીઓને રાખવામાં આવ્યા હતા. શરૂઆતમાં રાજકીય હરીફો અને બાદમાં યહૂદીઓ માટે અન્ય યાતના શિબિરોની માફક જ આ કેમ્પ પણ દોજખ સમાન બની રહ્યો હતો. એ સમય દરમિયાન અનેક કેદીઓને માસ શૂટિંગ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. હજારો નિર્દોષ કેદીઓ ગેસ ચેમ્બર્સમાં ગૂંગળાઈને મરી ગયા હતા. અસંખ્ય કેદીઓ અસહ્ય શારીરિક અત્યાચારો અને ભૂખમરાનો ભોગ બન્યા હતા. આ એક જ કેમ્પમાં અંદાજે 40 હજાર કેદીઓને આ રીતે મારી નાખવામાં આવ્યા હતા. 101 વર્ષનો આ નાઝી ગાર્ડ ગેસ ચેમ્બર ઓપરેટર હતો. અને તેના એ કેમ્પના કાર્યકાળ દરમિયાન 3500 લોકોની હત્યા થઈ હતી. 100 વર્ષની વયના આ ક્રૂર આરોપી સામે ફરિયાદ કરનારા પણ 90 વર્ષ વિતાવી ચૂકેલા છે. સાડા સાત દાયકા પછી પણ એ પીડા અને યાતના તેઓ ભૂલ્યા નથી.આ નાઝી ગાર્ડને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
2021માં 96 વર્ષની એક મહિલા સામે પણ ખટલો શરૂ કરવામાં આવ્યો હતો.. ઈર્મગાર્ડ ફુરચનર નામની આ મહિલા પોલેન્ડના સ્ટુથોપ કૅમ્પના કમાન્ડન્ટની પર્સનલ સેક્રેટરી અને સ્ટેનોગ્રાફર હતી. આ કેમ્પમાં 21 દેશોના 110 000 પોલિશ પ્રિઝનર્સ ને રાખવમાં આવ્યા હતા. કેમ્પની હાલત એટલી ખરાબ હતી કે હજારો લોકો બીમારી અને ભૂખમરાને કારણે મરી ગયા હતા. બાકીનાઓને માસ શૂટિંગ તથા ઝેરી ગેસ વડે મોત ને ઘાટ ઉતારી દેવાયા હતા. એકલા એ કેમ્પમાં જ 65 હજાર કેદીઓ મોતને શરણ થયા હતા. એ જ કેમ્પમાં 1944-45 દરમિયાન ગાર્ડ તરીકે ફરજ બજાવી ચૂકેલા 91 વર્ષના બ્રુનો ડે નામના શખ્સને પણ આ અગાઉ સજા ફરમાવવામાં આવી હતી.
પુરાવાના અભાવે કેટલાય બચી ગયા.
પુરાવાના અભાવે અનેક આરોપીઓ શંકાનો લાભ મેળવી નિર્દોષ પણ છૂટી ગયા હોવાના બનાવો નોંધાયા છે. જર્મન નાગરિકત્વ ધરાવતો ટેનેસીમાં રહેતો 95 વર્ષનો ફ્રીડ્રાઈક કાર્લ બર્ગર હેમબર્ગ નજીકના ન્યુનગામી કેમ્પનો ગાર્ડ હતો. 1945માં બ્રિટન અને કેનેડાના દળો ત્યાં પહોંચી રહ્યા હોવાના એંધાણ મળતા બર્ગરે બળજબરીથી એ કેમ્પમાં રહેલા લોકોને પગપાળા બીજા સ્થળે જવા માટે મજબૂર કર્યા હતા. બે અઠવાડિયા સુધી બંદૂકના નાળચે એ કેદીઓને બર્ગર દોરી ગયો હતો. રસ્તામાં ભૂખ અને તરસને કારણે 70 કેદીઓ મૃત્યુ પામ્યા હતા.બચી ગયેલાઓને બે જહાજમાં ભરી ને લઈ જવાતા હતા ત્યારે તેને દુશ્મન દેશનું જહાજ સમજી બ્રિટને બૉમ્બ વર્ષા કરતાં એ તમામ હતભાગી કેદીઓ માર્યા ગયા હતા. યુદ્ધ પૂર્ણ થયા બાદ છટકીને બર્ગર તેની પત્ની અને પુત્રી સાથે કેનેડા રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાંથી 1958માં તે અમેરિકા પહોંચ્યો.દરમિયાન તેની ઓળખ અને ભૂમિકા વિશે શંકા જતા અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી હતી.એ કેમ્પમાં કેદીઓ સાથે અમાનવીય અત્યાચારોમાં તેની ભૂમિકા સાબિત થયા બાદ તેને જર્મની મોકલી અપાયો હતો. પણ ત્યાંની અદાલતે સાબિતી પુરાવાને અભાવે કેસ પડતો મુક્યો હતો.અન્ય એક કિસ્સામાં જ્હોન ડેન્જનાયુક નામના ગાર્ડ સામે પોલેન્ડના સોબીબોર ડેથ કેમ્પમાં અત્યાચારો ગુજારવા બદલ અમેરિકા,ઇઝરાયેલ અને જર્મનીમાં કેસ ચાલ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ બાદ તે ઇમિગ્રન્ટ તરીકે અમેરિકામાં સ્થાયી થયો હતો.1986માં વોર ક્રાઈમ ટ્રાયલ માટે તેને ઇઝરાયેલને સોંપી દેવામાં આવ્યો હતો.1988માં ઇઝરાયેલની અદાલતે તેને મોતની સજા ફરમાવી હતી. બીજી તરફ જ્હોનનો દાવો હતો કે તે તો સોવિયેત આર્મીનો સોલ્જર હતો. અને જર્મનોએ તેને પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ કરી નાખ્યો હતો. જ્હોનના કહેવા મુજબ તે ખુદ પણ પીડિત હતો. એ દરમિયાન કેટલાક નવા દસ્તાવેજો ઉપરથી સાબિત થયું કે જ્હોન ખોટી ઓળખનો શિકાર બન્યો છે. જ્હોનને 1993માં નિર્દોષ છોડી દેવાયા બાદ તે અમેરિકા પરત ફર્યો પણ ત્યાં તેની સામે ઇમિગ્રેશન પેપરમાં ખોટી માહિતી આપવાનો કેસ ચાલુ હતો. તે આરોપ સાબિત થયા બાદ 2009માં તેનો દેશનિકાલ કરી જર્મની મોકલી અપાયો હતો. 2012માં 91 વર્ષની વયે તેનું જર્મનીની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અને એ સાથે જ હિટલર યુગના એક રહસ્યમય પાત્ર ઉપર કાયમ માટે પડદો પડી ગયો હતો. નાઝી અત્યાચારના એ યુગને સાડા સાત દાયકા થઈ ગયા. બે ચાર વર્ષમાં એ અત્યાચારનો ભોગ બનેલી આખી પેઢી લુપ્ત થઈ ગઈ હશે. પણ એમની પીડા અને વેદના,અન્યાયો અને ક્રૂરતા તેમજ નિર્દયી નરસંહારોનો કલંકિત ઇતિહાસ કદી ભૂંસી શકાસે નહીં